નર્મદા જિલ્લામાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે કરજણ ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે. ડેમમાં 47000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમની જળસપાટી 115.25 મીટરે પહોંચી છે. જ્યારે બીજી તરફ ડેમની ભયજનક સપાટી 116 મીટર છે, ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
જેના કારણે કરજણ ડેમના નદી કાંઠાના વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ કરજણ નદી આગળ જઈને નર્મદા નદીમાં મળે છે. ત્યારે નર્મદા નદી કિનારાના ગામડાઓને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ જિલ્લા કલેક્ટરે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે.
ભારે વરસાદ થતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક
નર્મદામાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 3 મીટરનો વધારો થયો છે. હાલમાં ડેમમાં 1 લાખ 17 હજાર 758 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી કેનાલમાં 4253 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. પાણીની આવક થતા ડેમની સપાટી વધીને 126.09 મીટરે પહોંચી છે. જેને લઈને CHPHનુ 1 ટર્બાઈન શરૂ કરાયું છે.
જ્યારે સુરત જિલ્લામાં વરસાદની આગાહીના પગલે શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે. જેમાં ઓલપાડ, ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં શાળો બંધ રહેશે. જિલ્લા શિક્ષણ દ્વારા શાળામાં રજા રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર જોવા મળી છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જતાં 25થી વધુ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. જેમાં પોરબંદર-મુંબઇ, બાન્દ્રાથી જામનગર, મુંબઇથી અમદાવાદ, દાદરથી ભૂજ, બાન્દ્રા-બિકાનેર, બાન્દ્રા-અમદાવાદ, મુંબઇથી ઓખા ટ્રેન રદ કરવામાં આવી છે.
રાજ્યભરમાં આજે વરસાદી સંકટ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ પડશે. જ્યારે નવસારી, સુરત, ભરૂચ, તાપી, વલસાડમાં ભારે વરસાદની સિસ્ટમ યથાવત રહેશે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહશે.