વર્ષ 1999નો એ જુલાઈ મહિનો હતો. હિમાલયના બરફના પહાડો તોપગોળાની ધણધણાટીથી ગાજી ઉઠ્યા હતા. ભારત અને પાકિસ્તાનની વચ્ચે કારગિલ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. હિમાલય પર રહેલી કારગિલ ટોચ ભારત પાકિસ્તાનની દુશ્મનીની પરાકાષ્ઠાની સાક્ષી બની રહી રહી. બન્ને દેશોના સૈન્યની વ્યાપક ખુવારી થઈ રહી હતી.
કારગિલ યુદ્ધ વિશે ઈતિહાસના પાનાઓ પર જેટલી વાતો મળે છે તે કરતાં પણ અનેક વાતો હજુ વણ કહેલી અને વણ સંભળાયેલી છે. આ યુદ્ધની કેટલીક એવી પણ વાતો છે જે માત્ર દેશના સૈનિકો અને સૈન્ય વડાઓ જ જાણતા હોય છે. પરંતુ જ્યારે સમયાંતરે ભારતીય સેનાના વડાઓ પોતાનું મોં ખોલે છે ત્યારે સાંભળવા મળે છે કેટલાક યુદ્ધોનો રોચક ઈતિહાસ. આવી જ એક વણ સંભળાયેલી વાત આજે અમે તમને કરીશું કે, કારગિલ યુદ્ધમાં શા માટે પાકિસ્તાને કરવી પડી હતી આજીજી અને ભારતના જાંબાજ સૈન્ય વડાએ કેવી રીતે સાચવી હતી પાકિસ્તાનની ઈજ્જત. ત્યારે જોઈએ આ અહેવાલમાં.
કારગિલ યુદ્ધની ગાથાઃ
વર્ષ 1999નો એ જુલાઈ મહિનો હતો. હિમાલયના બરફના પહાડો તોપગોળાની ધણધણાટીથી ગાજી ઉઠ્યા હતા. ભારત અને પાકિસ્તાનની વચ્ચે કારગિલ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. હિમાલય પર રહેલી કારગિલ ટોચ ભારત પાકિસ્તાનની દુશ્મનીની પરાકાષ્ઠાની સાક્ષી બની રહી રહી. બન્ને દેશોના સૈન્યની વ્યાપક ખુવારી થઈ રહી હતી. યુદ્ધ મોરચે શહીદ થતાં સૈનિકોનું સ્થાન લેવા દેશમાંથી સૈનિકોની વણજાર સર્જાઈ હતી.
ઊંચાઈ પર ખેલાઈ રહેલા આ યુદ્ધમાં કોના પક્ષે કેટલા સૈનિકો શહીદ થઈ ગયા છે તે કળવું મુશ્કેલ હતું. કારગિલની ટોચ પર ગોળીઓની ગોળીઓની રમઝટ અને તોપના ભડાકા વચ્ચે ભારતીય માઉન્ટ બ્રિગેડે ટાઈગર હિલ પર ફરી વાર કબજો કરી લીધો હતો. દિવસ હતો 27 અને 28 જુલાઈનો. બરાબર તે વખતે ગોરખા રાઈફલના સીઓ પર એક ફોન આવે છે. સામા પક્ષે પાકિસ્તાનના ફ્રંટીયર ફોર્સના રેઝીમેન્ટ લેફ્ટનન્ટ કમાન્ડર કર્નલ મુસ્તફા બોલી રહ્યાં હતા. તેઓ તત્કાલિન બ્રિગેડિયર એમપીએસ બાજવા સાથે રેડિયો સેટ પર વાત કરવા માગતા હતા.
દુશ્મન દેશની આજીજીઃ
રિટાયર્ડ બ્રિગેડિયર એમપીએસ બાજવાએ કારગિલ યુદ્ધની એ વણ સંભળાયેલી વાતને ખુલ્લી કરી તો કારગિલ યુદ્ધનું એક નવું પ્રકરણ સામે આવ્યું. તેઓ કારગિલ યુદ્ધ વિશે વાત કરતાં કહે છે. યુદ્ધની એ કટોકટી દરમિયાન એ પાકિસ્તાની અધિકારીએ વાયરલેસ કોમ્યૂનિકેશન પર વાત કરીને કહ્યું હતું, 'હેલો સર હું ફ્રંટિયર ફોર્સ રેજિમેન્ટ કમાન્ડર લેફન્ટન્ટ કર્નલ મુસ્તફા બોલી રહ્યો છું. તમારા જવાનોએ ખૂબ સારી રીતે જંગ લડી છે. મારા સૈનિકો માર્યા ગયા છે અને તમે જાણો છો કે, આ તો બટાલિયનની ઈજ્જતનો સવાલ છે. મારો આગ્રહ છે કે, તમે તેઓના શબ મને સોંપી દો તો હું તેમને દફનાવી શકું. આ પલટનની આબરુ સાચવવા માટે જરૂરી છે.' જવાબમાં બાજવાએ કહ્યું હતું કે, 'મુસ્તફા જો હું તમારા જવાનોના શબ તમને સોંપી દઉં તો તમે અમારા માટે શું કરશો?'
લેફ્ટનન્ટ કર્નલ મુસ્તફાએ વળતા જવાબમાં કહ્યું, 'તો હું પાકિસ્તાન તરફ પરત ફરી જઈશ. લડાઈ આગળ નહીં વધે. બ્રિગેડિયર બાજવાએ કહ્યું, 'મુસ્તફા તમારી વાત પર ભરોસો કઈ રીતે મુકવો?' જવાબમાં મુસ્તફાએ કહ્યું, 'હું એક પઠાણ છું.' બાજવાએ કહ્યું, 'તો હું પણ એક સરદારજી છું. હું વચન આપી રહ્યો છું તે પૂરું કરીશ. જાઓ તમારા સૈનિકોને સફેદ ઝંડા અને સ્ટ્રેચર લઈને મોકલો.'
પાકિસ્તાની ઓફિસર અને રિટાયર્ડ બ્રિગેડિયર વચ્ચેની વાતચીતઃ
લેફન્ટન્ટ કર્નલ મુસ્તફાઃ
"હેલો સર હું ફ્રંટિયર ફોર્સ રેજિમેન્ટ કમાન્ડર લેફન્ટન્ટ કર્નલ મુસ્તફા બોલી રહ્યો છું. તમારા જવાનોએ ખૂબ સારી રીતે જંગ લડી છે..મારા સૈનિકો માર્યા ગયા છે. અને તમે જાણો છો કે, આ તો બટાલિયનની ઈજ્જતનો સવાલ છે. મારો આગ્રહ છે કે, તમે તેઓના શબ મને સોંપી દો..તો હું તેમને દફનાવી શકું"
બ્રિગેડિયર એમપીએસ બાજવાઃ
"મુસ્તફા જો હું તમારા જવાનોના શબ તમને સોંપી દઉં તો તમે અમારા માટે શું કરશો?"
લેફન્ટન્ટ કર્નલ મુસ્તફાઃ
". તો હું પાકિસ્તાન તરફ પરત ફરી જઈશ. લડાઈ આગળ નહીં વધે"
બ્રિગેડિયર એમપીએસ બાજવાઃ
"મુસ્તફા તમારી વાત પર ભરોસો કઈ રીતે મુકવો? "
લેફન્ટન્ટ કર્નલ મુસ્તફાઃ
"હું એક પઠાણ છું."
બ્રિગેડિયર એમપીએસ બાજવાઃ
"તો હું પણ એક સરદારજી છું. હું વચન આપી રહ્યો છું તે પૂરું કરીશ. જાઓ તમારા સૈનિકોને સફેદ ઝંડા અને સ્ટ્રેચર લઈને મોકલો."
ઊંચાઈ પર ખેલાઈ રહેલા કારગિલ યુદ્ધની કટોકટી વચ્ચે બન્ને સૈન્યવડાઓ વચ્ચે વાયરલેસ પર થયેલી વાતચીત બાદ પાકિસ્તાની સૈનિકો સફેદ ઝંડા અને સ્ટ્રેચર લઈને આવ્યા ભારતે પોતાનું વચન નિભાવ્યું. ભારતે પાકિસ્તાનનાં મૃત્યુ પામેલા જવાનોના શબ સંપૂણ સૈન્ય માન-સન્માન સાથે પાકિસ્તાની સૈન્યને સોંપી દીધા. ભારતીય સૈન્યએ આ સમગ્ર ઘટનાક્રમની વીડિયોગ્રાફી પણ કરી હતી. એ વીડિયોગ્રાફીથી એ સાબિત કરવામાં મદદ મળી હતી કે, પાકિસ્તાની સેના અવાર નવાર અંકુશ રેખાની પાર ઘૂસણખોરી કરતી રહી છે. પરંતુ ભારતે દુશ્મન દેશની આબરૂના રક્ષણ માટે પણ માનવતા જાળવી રાખી છે. બ્રિગેડિયર એમપીએસ બાજવાએ ખોલેલું ઈતિહાસનું આ પાનું એ વાતની સાબિતી આપે છે.