પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા સહસ્ત્ર તરૂ વનનું પ્રથમ સોપાન કારગીલના શહિદોને અર્પણ કરવામાં આવ્યું હતું. કુલ 60 હજાર ચો.મી. જગ્યામાં આગામી ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં વૃક્ષારોપણ પૂર્ણ કરાશે. પાટણ ખાતે નિર્માણ પામનાર સહસ્ત્ર તરૂ વનના પ્રથમ તબક્કામાં 11,111 વૃક્ષોના વાવેતર દ્વારા કારગિલના યુદ્ધમાં શહિદ થનાર વિર જવાનોને પાટણ ખાતે હરિત વિરાંજલી આપવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા સરસ્વતી નદીના કિનારે કારગિલ વિજય વન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.
કારગિલના શહીદને હરિત વિરાંજલી
કારગિલ વિજય દિન ઉજવવાયો
11,111 વૃક્ષોનું વાવેતર કરાયુ
કારગિલ વિજય વન ખાતે વૃક્ષારોપણ કરતાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, અલગ અલગ સ્થળોએ વૃક્ષારોપણ બાદ તેના જતનના અભાવે અપેક્ષિત પરિણામ મળતું નથી. તેના બદલે ચોક્કસ સ્થળ નક્કી કરી એકસાથે મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર થાય તે માટે અહીં પ્રથમ તબક્કામાં 10 હજારથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન છે.
વધુમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ઘટી રહેલા ગ્રીન કવરને કારણે જોખમાયેલા બાયોડાયવર્સિટીના સંતુલનને જાળવવા સહસ્ત્ર તરૂ વન ખાતે 25 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવશે. જે રાણીની વાવ અને પટોળાની જેમ પાટણની આગવી ઓળખ ઉભી કરશે. કલેક્ટરે આપેલા સહસ્ત્ર તરૂ વનના નિર્માણના વિચારને સાકાર કરવા જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓ જોડાઈ હતી પ્રબુદ્ધ નગરજનો અને તંત્રના સહયોગથી પાટણ હરિયાળું શહેર બને તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે.
કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા વિર શહિદોની યાદમાં સરસ્વતી નદીના કિનારે 10 હજાર ચોરસમીટર જગ્યામાં માનવસર્જિત વન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં મિયાવાકી પદ્ધતિથી વિવિધ 61 પ્રજાતિના 11,111 છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. રાજ્યમાં મિયાવાકી પદ્ધતિથી નિર્માણ પામનાર આ સૌથી મોટું જંગલ હશે.
પાટણના દાતાના અનુદાન, પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન, રોટરી ક્લબ ઑફ પાટણ, આર્યાવર્ત નિર્માણ ટ્રસ્ટ સહિત શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પાટણ જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી સહસ્ત્ર તરૂ વન નિર્માણ પામનાર છે. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક જે.જે.રાજપૂત, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, પદાધિકારીઓ સહિત પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.