ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે ભારતમાં પણ ઝડપથીપગપેસારો કર્યો છે. ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધી 50 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 1965 સંક્રમણના કેસ બહાર આવ્યા છે. આ ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા પીએમ મોદીએ દાન કરવાની અપીલ કરી હતી. જે બાદ અનેક લોકો દાન માટે આગળ આવ્યા અને દિલ ખોલીને દાન કર્યું. હવે આ લિસ્ટમાં નવાબ સૈફ અલી ખાન અને કરીના કપૂરનું નામ પણ જોડાઈ ગયું છે. તેણે સોશિયલ મીડિયા પર પીએમ રિલીફ ફંડમાં દાન કરવાની જાહેરાત કરી છે.
કોરોના સંકટમાં સેલેબ્સ દિલ ખોલીને કરી રહ્યાં છે દાન
હવે આ લિસ્ટમાં સૈફ-કરીનાનું નામ પણ જોડાયું
અગાઉ પીએમ ફંડમાં દાન ન કરવા પર ટ્રોલ થયા હતા સૈફ-કરીના
પીએમ રિલીફ ફંડમાં અત્યાર સુધી અનેક સેલિબ્રિટિસ દાન કરી ચૂક્યા છે. જેથી સૈફ અને કરીનાએ અત્યાર સુધી કોઈ દાન ન કર્યું હોવાથી તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. જે બાદ કરીનાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું-અમે પીએમ કેર ફંડ અને મુખ્યમંત્રી રાહત કોષ (મહારાષ્ટ્ર)માં પોતાનું યોગદાન આપ્યું છે. આ સમયે મદદ માટે આગળ આવેલાં દરેક લોકો અને એક એક પૈસા ખૂબ જ મહત્વ ધરાવે છે. આ રીતેતેણે પોતાના ફોલોવર્સને પણ કોરોના માટેના આ ફંડમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા છે.
કરીના કપૂરે આ પહેલાં કોરોના સામે જંગ લડી રહેલી વિદેશી સંસ્થાઓને પણ દાન કર્યું છે. કરીના અને સૈફે યૂનિસેફ Give India અને ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર હ્યૂમન વેલ્યૂઝને પણ આ મહામારી સામે લડવા માટે દાન કર્યું છે. પણ લાગે છે કે સોશિયલ મીડિયામાં તેના ફેન્સ આ વાતથી વધારે ખુશ નથી અને તેમણે કરીના અને સૈફને ગ્લોબલ એજન્સીમાં દાન કરવા અને ભારતીય સંસ્થામાં દાન ન કરવા મામલે રોષ વ્યક્ત કર્યો હતો.
જોકે, કેટલાક લોકોએ કરીનાનું સમર્થન પણ કર્યું છે અને આવા સારાં કામ માટે તેની પ્રશંસા પણ કરી છે. પીએમ ફંડમા દાન કરીને કરીનાએ પણ હેટર્સને જડબાતોડ જવાબ આપી દીધો છે. તમને જણાવી દઈએ કે, કરીના કપૂર લોકડાઉનમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે કોરોના સામે જાગરૂકતા ફેલાવતી પણ જોવા મળી રહી છે.