સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધુ છે, સુશાંત બાદ અનુપમા પાઠક અને આશુતોષ ભાકરેએ પણ આત્મહત્યા કરી હતી. નાની ઉંમરની ટિકટોક સ્ટાર પણ આ લિસ્ટમાં બાકાત રહેતી નથી, ત્યારે હાલમાં IPLમાં રમવાની તક ન મળતા ક્લબ ક્રિકેટરે આત્મહત્યા કરી લીધી છે.
IPLમાં રમવાની તક ન મળતા આત્મહત્યા
ક્રિકેટરે કરી આત્મહત્યા
સુશાંત બાદ આત્મહત્યાના કિસ્સા વધ્યા
IPLમાં રમવાની તક ન મળવાને કારણે મુંબઈના એક ક્લબ ક્રિકેટર કરણ તિવારીએ આત્મહત્યા કરી લીધી છે. 27 વર્ષીય કરણે રાતના સમયે મલાડ સ્થિત પોતાના ઘરમાં પંખા પર લટકી જઈને આત્મહત્યા કરી લીધી. આ ઘટના અંગેની જાણકારી તેના એક મિત્રએ આપી છે.
કરણના મિત્રએ કહ્યું, " IPLમાં રમવાની તક ન મળતા તે નિરાશ હતો.'' જ્યારે પોલીસે કહ્યું કે, આ મામલે FIR દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.
કરણ તિવારી વાનખેડે સ્ટેડિયમમાં IPLની કેટલીક ટીમો માટે નેટ પર બોલિંગ કરી ચૂક્યો છે. તે રાજ્યની ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જોકે BCCIના નિયમો અનુસાર, જે ખેલાડીએ રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હોય તે જ IPLની હરાજીમાં સામેલ થઈ શકે છે. તિવારીએ આત્મહત્યા કરવાની જાણકારી તેના એક મિત્રને આપી હતી અને મિત્રએ તેની જાણકારી તિવારીની બહેનને આપી હતી. તિવારીની બહેને બાદમાં તેની જાણકારી માતાને આપી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ કરણ તિવારીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.