રણબીર કપૂર અને સંજય દત્ત જેવા સ્ટાર્સની ફિલ્મ 'શમશેરા' બોક્સ ઓફિસ પર 'ફ્લોપ' સાબિત થઈ છે. 150 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ રિલીઝના પાંચ દિવસમાં 50 કરોડ પણ કમાઈ શકી નથી. ડાયરેક્ટર કરણ મલ્હોત્રાએ ફિલ્મની નિષ્ફળતા પર એક લાંબી પોસ્ટ લખી છે.
ફ્લોપ સાબિત થઈ રણબીરની ફિલ્મ 'શમશેરા'
150 કરોડની ફિલ્મને 50 કરોડની કમાણીના પણ ફાંફા
ડાયરેક્ટરે નિષ્ફળતા બાદ લખી લાંબી પોસ્ટ
રણબીર કપૂરની લેટેસ્ટ રિલીઝ 'શમશેરા'થી દર્શકો તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણી આશાઓ હતી. પરંતુ 22 જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મ માત્ર ચાર દિવસમાં જ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ છે. 150 કરોડના બજેટમાં બનેલી અને મોટા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ નથી બતાવી શકી.
નિષ્ફળતા બાદ દુઃખી છે ડાયરેક્ટર
આ ફિલ્મ જે ધીમી ગતિએ આગળ વધી રહી છે તે જોઈને લાગતું નથી કે તે લાઈફટાઈમ 100 કરોડ રૂપિયા પણ કમાઈ શકશે. 'શમશેરા'ના નિર્દેશક કરણ મલ્હોત્રા પોતાની ફિલ્મની નિષ્ફળતાથી દુઃખી છે. તેણે કહ્યું છે કે ફિલ્મની નિષ્ફળતા પછી તેને મળેલી નફરત અને ગુસ્સો તે સહન કરી શક્યો નથી.
નફરત અને ગુસ્સો સહન ન કરી શક્યો: કરણ મલ્હોત્રા
કરણ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં 'શમશેરા'ની નિષ્ફળતા અને ધીમી કમાણી પર પ્રતિક્રિયા આપી છે. તેણે 'શમશેરા મેરા હૈ'થી પોતાની પોસ્ટની શરૂઆત કરી હતી. કરણ મલ્હોત્રાએ લખ્યું, 'માય ડિયર શમશેરા તું તેજસ્વી છે. આ પ્લેટફોર્મ પર મારી જાતને એક્સપ્રેસ કરવી મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે અહીં તમારા માટે પ્રેમ, નફરત, સેલિબ્રેશન અને અપમાન છે. છેલ્લા કેટલાક દિવસોથી તમને આ રીતે છોડી દેવા બદલ હું વારંવાર માફી માંગુ છું કારણ કે હું એ નફરત અને ગુસ્સો સહન કરી શકતો નથી.'
પ્રેમ અને કેર અમુલ્ય
કરણ મલ્હોત્રાએ આગળ લખ્યું કે, 'આ રીતે સંબંધ તોડવો મારી કમજોરી હતી અને તેના માટે કોઈ બહાનું નથી. પણ હવે હું અહીં છું, તમારી બાજુમાં ઉભો છું. ગર્વ અને સન્માન મહેસુસ કરી રહ્યો છું. આપણે દરેક વસ્તુનો એકસાથે સામનો કરીશું સારા, ખરાબ અને બધા જ. અને શમશેરા પરિવાર, શમશેરાના કલાકારો, કાસ્ટ એન્ડ ક્રૂને ખૂબ ખૂબ અભિનંદન. અમને આપવામાં આવેલ પ્રેમ, કાળજી અને આશીર્વાદ અમૂલ્ય છે તેને અમારી પાસેથી છીનવી શકાય નહીં.'