અખંડ ભારતના શિલ્પી ભારતરત્ન સરદાર પટેલનું સ્વપ્ન જાણે ખંડિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કરમસદ ખાતેના સરદારના સ્મારક ને સાચવવા આજે દાનની અપીલ કરવી પડે તેવી નોબત આવી છે. એક તરફ સરદારની યાદ તાજી રાખવા દાનનો મોહતાજ રાખવો પડે છે તો બીજી તરફ સરદારના સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાછળ અબજો રૂપિયા ફાળવાય છે. ત્યારે જોઈએ નર્મદાના બેટ પર ટહેલતા સરકારના એ સરદાર અને દાનની ટહેલના ટ્રસ્ટ સામે કેટલાય સવાલો ઉભા થયા છે.
અખંડભારતના શિલ્પી સરદાર પટેલનું સ્મારક કરમસદમાં આવેલ છે. સરદાર પટેલના રાષ્ટ્ર માટેના યોગદાન અને તેમના વ્યક્તિવિશેષ ગુણોથી ભાવિ પેઢી અવગત થાય તે હેતુથી વર્ષ 2000માં સરદાર સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ અને કેન્દ્ર- રાજ્ય સરકારના સહયોગથી આ સ્મારક નિર્માણ કરવામાં આવ્યું હતું. સરદાર પટેલના માદરે વતન કરમસદમાં 7 એકર જમીનમાં નિર્માણ પામેલ આ સ્મારકની જાળવણી માટે આજે ટ્રસ્ટ ને દાન માટે જાહેર અપીલ કરવાની નોબત ઊભી થઇ છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2000માં આ સ્મારકનું લોકાર્પણ ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું. 7 એકરમાં નિર્માણ પામેલ આ સ્મારકની જાળવણી પાછળ મહિને 5 લાખનો ખર્ચ થઇ રહ્યો છે. આ સ્મારકના નિર્માણ માટે કેન્દ્ર સરકારે 1.5 કરોડ અને રાજ્ય સરકારે 1 કરોડ ફાળવ્યા હતા.
પરંતુ ત્યારબાદ સ્મારકના નિભાવ માટે રાજ્ય કે કેન્દ્ર તરફથી કોઈ ભંડોળ ફાળવવામાં આવ્યું નથી. નિયમ મુજબ આ સ્મારકને રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા સ્વતંત્ર દરજ્જો અપાયો નથી. તેથી નિભાવ માટે કોઈ રકમ પણ ફાળવવામાં આવતી નથી. આથી સ્મારકના ટ્રસ્ટીઓએ દાન માટે અપીલ કરવી પડી છે.