કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે રવિવારે PM CARES ફંડ માંથી કેટલા નાણાં પરપ્રાંતીય શ્રમિકો પાછળ ખર્ચ કર્યા છે તેવો સવાલ PM મોદીને પૂછ્યો હતો. નોંધનીય છે કે આ સવાલ છેલ્લા થોડા દિવસથી દેશમાં ચર્ચાઈ રહ્યો છે કે PM CARES ફંડની કેટલી રકમ ક્યાં વપરાઈ તેની વિગતો પ્રજા જાણવા માંગે છે. આ સામે RTI કરતા આ RTI એવા કારણથી રદ કરી દેવાઈ કે આ એક પબ્લિક ઓથોરિટી નથી એટલે તેની વિગતો સામે આવી શકશે નહીં.
તેમણે વીડિયો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે તેઓ PM મોદીને પૂછવા માંગે છે કે તેમણે PM CARES ફંડ માંથી કેટલા નાણાં પરપ્રાંતીય શ્રમિકો પાછળ ખર્ચ કર્યા છે? હું વિનંતી કરું છે કે આ પ્રશ્નનો જવાબ આપવામાં આવે. ઘણા લોકો આ સમયગાળામાં મૃત્યુ પામ્યા છે અને ઘણા કામદારો ચાલતા ચાલતા, ટ્રેઈનમાં, ટ્રકમાં ઘણા લોકો ભૂખથી મોતને ભેટ્યા છે.
મોતને ભેટનાર કામદારોના મૃત્યુ પેટે કેટલા રૂપિયાનું વળતર ચુકવ્યું?
કોંગ્રેસ નેતાએ એમ પણ પૂછ્યું હતું કે PM મોદીએ કેટલા કોરોના સંકટમાં લોકડાઉન સમયે મોતને ભેટનાર કામદારોના મૃત્યુ પેટે તેમના પરિવારોને કેટલા રૂપિયાનું વળતર ચુકવ્યું હતું?
તેમણે કાયદાકીય રીતે પૂછ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના સેક્શન 12 હેઠળ મોતને ભેટનારને મૃત્યુ પેટે ચોક્કસ રકમનું વળતર સરકારે ચૂકવવાનું રહે છે. આ ઉપરાંત વિધવાઓ અને અનાથ બાળકોની મદદ કરવાનો પણ ઉલ્લેખ છે. સરકારે તેમને રોજગાર અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે પગલાં લેવાના છે તેવો ઉલ્લેખ છે. સિબ્બલે પૂછ્યું હતું કે સરકારે આ પૈકી કેટલી સુવિધાઓ અસરગ્રસ્તોને પહોંચાડી છે?
ગરીબોની મદદ થઇ શકે તેવો અભિગમ અપનાવો
તેમણે સરકારને સલાહ આપી હતી કે સરકારે છેલ્લા 6 વર્ષથી ચાલતા તેમના એજન્ડાઓ બાજુમાં મૂકીને ગરીબોની મદદ થઇ શકે તેવો અભિગમ અપનાવવો જોઈએ.
તેમણે કહ્યું કે RBIએ પણ સ્વીકાર્યું છે કે આવનારા દિવસોમાં અર્થતંત્ર માઇનસના આંકડાઓમાં જતું રહેશે. દેશમાં 45 કરોડ કામદારો છે. તેમનું ભવિષ્ય શું છે? આથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે સરકારે છેલ્લા 6 વર્ષથી ચાલતા તેમના એજન્ડાઓ બાજુમાં મૂકીને ગરીબોની મદદ થઇ શકે તેવો અભિગમ અપનાવવો જોઈએ.
કાયદાકીય આંટીઘૂંટીને લીધે PM CARES ફંડની વિગતો RTI હેઠળ આવતી નથી
PMO (પ્રધાનમંત્રી કાર્યાલય) એ PM CARES ફંડ વિશેની માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે આ 'પબ્લિક ઓથોરિટી' નથી. નોંધનીય કે આ માહિતી આરટીઆઈ એક્ટ, 2005 હેઠળ માંગવામાં આવી હતી. આ આરટીઆઈ 1 એપ્રિલના રોજ હર્ષ કંડુકુરી દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં 'પીએમ કેર્સ ફંડ' ની રચના અને કામગીરી અંગે માહિતી માંગવામાં આવી હતી.