હાલમાં જ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કોરોના રિલીફ ફંડ માટે ભારત અને પાકિસ્તાને એકજૂટ થઈને એકબીજાની મદદ કરવા અને ભારત પાકિસ્તાન વચ્ચે ત્રણ વનડે મેચની સીરિઝનું આયોજન કરીને ફંડ એકઠું કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, આ પ્રસ્તાવ પર ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને 1983માં ભારતને પ્રથમવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા કપિલ દેવે અખ્તરને આડે હાથ લેતા કહ્યું-ક્રિકેટ મેચ માટે ભારતના લોકોનો જીવ જોખમમાં મૂકીને પૈસા મેળવવાની ભારતને જરૂર નથી.
કોરોના સંકટ ફંડ એકઠું કરવા શોએબ અખ્તરે જણાવ્યો હતો આ રસ્તો
કપિલ દેવને આ શોએબનો પ્રસ્તાવ ન ગમ્યો
કપિલે કહ્યું, ભારત પાસે ઘણું બધું ફંડ છે
અખ્તરે બુધવારે કહ્યું હતું કે, કોરોના વાયરસ રોગચાળા સામે લડત માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખાલી સ્ટેડિયમમાં વનડે આંતરરાષ્ટ્રીય શ્રેણીનું આયોજન કરવું જોઈએ અને તેમાંથી એકત્રિત કરાયેલાં ફંડને ભારત અને પાકિસ્તાનની સરકાર વચ્ચે સમાન રીતે વહેંચવા જોઈએ, જેથી આ મહામારી સામેની જંગમાં ફંડ મળી શકે.
જોકે, શોએબના આ પ્રસ્તાવ પર કપિલ દેવે કહ્યું કે, આ બિલકુલ સારો આઈડિયા નથી. તેમણે કહ્યું, 'તેઓ તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ અમે આવા ભંડોળ એકત્રિત કરવા માંગતા નથી. અમારી પાસે ઘણું ફંડ છે. અમારા માટે અત્યારે એ જરૂરી છે કે અમે સત્તા સાથે મળીને કામ કરીએ અને આ રોગચાળા સામે જંગમાં જીતીએ. હું હજી પણ ટીવી પર જોઈ રહ્યો છું કે લોકો એકબીજાને દોષી ઠેરવી રહ્યા છે. આ રોગચાળાને લઈને પણ હવે રાજકારણ થઈ રહ્યું છે, આ બધું બંધ થવું જોઈએ.
ક્રિકેટરોના જીવ જોખમમાં મૂકશે નહીં
કપિલ દેવે વધુમાં કહ્યું કે, 'બીસીસીઆઈએ બહુ મોટી રકમ (51 કરોડ રૂપિયા) દાન કર્યા છે. આ મહામારી સામે જંગમાં જરૂર પડશે તો બોર્ડ વધુ રકમ પણ દાન કરશે. જેથી અમારે આ રીતે ફંડ એકઠું કરવાની જરૂર નથી. આ પરિસ્થિતિ હાલ સામાન્ય થતી દેખાઈ નથી રહી અને એવામાં ક્રિકેટ સીરિઝનું આયોજન કરીને અમે ક્રિકેટરોના જીવ જોખમમાં નહીં મૂકીએ. કપિલે કહ્યું કે, ઓછાંમાં ઓછું આગામી 6 મહિના સુધી ક્રિકેટનો કોઈ મુદ્દો સામે આવવો જોઈએ નહીં. આ રિસ્ક લઈ ન શકાય અને 3 મેચથી તમે કેટલા પૈસા એકઠાં કરી લેશો? મારી દ્રષ્ટિએ, આગામી પાંચ-છ મહિના ક્રિકેટ વિશે વિચાર પણ કરી ન કરી શકાય.
તેમણે આગળ કહ્યું- 'ક્રિકેટ ત્યારે જ શરૂ થશે જ્યારે બધું સામાન્ય થઈ જશે. કોઈપણ રમત કોઈ દેશ કરતા મોટી હોઇ શકે નહીં. હવે મુદ્દો એ છે કે ગરીબોને કેવી રીતે મદદ કરવી, હોસ્પિટલમાં કામ કરતા લોકોને કેવી રીતે મદદ કરવી, આ યુદ્ધમાં જે પણ આગળ આવીને કામ કરી રહ્યાં છે તે લોકોની કઈ રીતે મદદ કરવી, એ વિચારવાનું છે.