વાપીના કાંતિભાઈએ નિવૃત્તિ બાદ સાયકલિંગને પોતાનો શોખ બનાવી દીધો. તેમના આ શોખ એવો તો રંગ લાવ્યો છે કે તે આસપાસના વિસ્તારમાં સાયકલવીર તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે.
વાપીના કાંતિભાઈએ કરી 5 વાર કૈલાસની યાત્રા
યુવાનોને પણ શરમાવે તેવો કાંતિભાઈનો જુસ્સો
રોજ ચલાવે છે 30 કિલોમીટરથી વધુ સાયકલ
એક જાણીતી કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાહ્ય. સફળતા અને સિદ્ધિ મેળવવા માટે જો તન અને મનમાં જુસ્સો હોય તો ઉંમરનો બાધ નડતો નથી. આ જ વાતને વાપીના સાઇકલિસ્ટ અને માઉન્ટ ટ્રેકર એવા કાંતિ પટેલે સાબિત કરી બતાવી છે. નિવૃત્તિ બાદ જે ઉંમરે લોકો નિરાશા અને હાંસિયામાં ધકેલાઈ જતા હોય છે તે ઉંમરે વાપીના કાંતિભાઈએ 5 વાર કૈલાસની યાત્રા કરીને પંચકૈલાસીનું બિરુદ મેળવી લીધું છે. ત્યારે યુવાનોને પણ શરમાવે તેવો જુસ્સો ધરાવતા કાંતિભાઈની સ્ફૂર્તિ અને જુસ્સો ખરેખર કાબિલેદાદ છે.
સાયકલ દ્વારા છેલ્લા 3 વર્ષમાં કાપી ચૂક્યા છે 55 હજાર કિલોમીટરનું અંતર
વાપીના કાંતિભાઈ પટેલ નામના સાયકલવીર સાયકલ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 55 હજાર કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે.સાયકલ દ્વારા તેમણે ભારતના અનેક ડુંગરો સર કરી લીધા છે. ત્રણ વર્ષમાં તેઓ લેહ, માઉન્ટ આબુ, કૈલાસ માન સરોવર, મનાલી સહિતના ઊંચા સ્થળોએ પણ સાઇકલ ચલાવી ચૂક્યા છે. ગુજરાતમાંથી સૌ પ્રથમ મનાલી-લેહ સાઇકલ યાત્રામાં 18 હજાર ફુટ ઉંચાઇએ સાઇકલ ચલાવીને રેકોર્ડ સર્જી ચૂક્યા છે. સાયકલ ચલાવવાના શોખીન કાંતિ ભાઈ પટેલ હાલમાં રોજ ના 30 કિલોમીટરથી વધુ સાયકલ ચલાવે છે. માત્ર એટલું જ નહીં, એટલુ જ નહીં કાંતિભાઈની એક નવતર સિદ્ધિ એ પણ છે કે, તેમણે 20 હજાર ફૂટ ઊંચાઈએ આવેલું કૈલાસ માનસરોવર, 18હજાર ફૂટની ઊંચાઈએ આવેલું શ્રીખંડ કૈલાસ, 17 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું આદિ કૈલાસ, 16 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું કિન્નૌર કૈલાસ અને 15 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું મણિકૈલાસ એમ 5 કૈલાશ યાત્રા પૂર્ણ કરી દક્ષિણ ગુજરાતના એક માત્ર પંચ કૈલાસી બની ગયા છે.
63 વર્ષીય કાંતિભાઈ એકલવાયું જીવન ગાળી રહ્યા છે
આ પહેલા કાંતિભાઈ વાપીની એક ફાર્મા કંપનીમાં મેનેજર તરીકે કામ કરતાં હતા.63 વર્ષીય કાંતિભાઈ 2014માં પત્નીના અવસાન બાદ એકલવાયું જીવન ગાળી રહ્યા છે. જોકે તેમના બે દીકરાઓ આઈ ટી એન્જીનીયર તરીકે બેંગ્લોર અને પુનામાં સફળ જીવન ગાળી રહયા છે, સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં મંદિરના ઓટલે સમય પસાર કરતાં વૃદ્ધોની તંદુરસ્તી નબળી પડતી જતી હોય છે, ત્યારે કાંતિભાઈ રોજની 30 કિલોમીટર સાઇકલ ચલાવીને આજે પણ તંદુરસ્ત જીવન પસાર કરી રહ્યા છે અને યુવાનોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે.કાંતિભાઈ સતત સાયકલ ચલાવીને યુવાનોને સ્વાસ્થ્ય માટે માર્ગદર્શન આપી રહ્યાં છે.ત્યારે કાંતિભાઈની સ્ફૂર્તિ અને જીવન પ્રત્યેનો અભિગમ જોઈને લોકો પ્રેરણા મેળવી રહયા છે.