ઝાયેદને કોઇ મિત્રો હતા નહીં તેના મિત્ર માત્ર એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સ હતી. દર શનિવાર અને રવિવાર ઝાયેદ એકલો કાંકરિયા એડ્વેન્ચર પાર્કમાં રાઇડની મજા કરવા માટે જતો હતો. અમને ન હતી ખબર કે જે રાઇડને તે મિત્ર માની રહ્યો છે તે તેનાં મોતનું કારણ બની જશે. આ શબ્દો છે ઝાયેદની બહેન સાયમા મેમણના. જેને ગઇ કાલે કાંકરિયા એડ્વેન્ચર પાર્કમાં બનેલી દુર્ઘટનામાં પોતાના ભાઇને ખોયો છે.
ગઇ કાલે કાંકરિયા બાલવાટિકા પાસે આવેલ એડ્વેન્ચર પાર્કમાં ડિસ્કવરી નામની રાઇડનો સહેલાણીઓને હવામાં લઇ જતો એંગલ અચાનક બટકાઇ જતાં ૩૧ સહેલાણીઓ રાઇડની સાથે ૫૦ ફૂટ ઊંચેથી નીચે પટકાયા હતા જેમાં ઝાયેદ મેમણ અને મનાલી રજવાડીનું મોત થયું છે.
જ્યારે ૨૯ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. રાઇડ તૂટવાની દુર્ધટનામાં મોતને ભેટેલાે ૨૨ વર્ષના ઝાયેદ મેમણના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. ત્રણ બહેનો વચ્ચે એકનો એક ભાઇ ઝાયેદ મોબાઇલની દુકાનમાં કામ કરતો હતો. મરનાર ઝાયેદની બહેન સાયમા મેમણે જણાવ્યું છે કે ઝાયેદનો કોઇ મિત્ર હતો નહીં.
વહેલી સવારે તે નોકરી પર જતો અને રાત્રે સીધો ઘરે આવી જતો હતો. દર શનિવાર અને રવિવાર તે એકલો એડ્વેન્ચર પાર્કમાં જતો હતો. જ્યાં તે રાઇડમાં બેસીને મજા કરતો હતો. ઝાયેદ ઘરમાં પણ બધાને કહેતો હતો કે એડ્વેન્ચર પાર્કની રાઇડ તેની મિત્ર છે. જેથી તેને મળવા માટે તે જતો હતો. ગઇ કાલે પણ ડિસ્કવરી રાઇડમાં તે ગયો જ્યાં તેનું મોત થયું છે.
આ લોકો સામે નોંધાયો ગુનો
અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટવાના મામલે કુલ 6 લોકો સામે ગુનો નોંધાયો છે. સંચાલક, મેનેજર, 2 ઓપરેટર અને હેલ્પર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાઇડના માલિક ઘનશ્યામ પટેલની ગઇકાલે અટકાયત કરાઇ છે. કલમ 304 અને 114 મુજબ મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલે પોલીસે 6 લોકો સામે ફરિયાદ કરી છે. તમામ લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે. પોલીસે ઘનશ્યામ પટેલ, ભાવેશ પટેલ, તુષાર ચોકસી, યશ ઉર્ફે મહેન્દ્રભાઈ પટેલ, કિશન મહંતી અને મનીષ વાઘેલાની સામે ફરિયાદ દાખલ કરી છે. કાંકરિયાના આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ પટેલ ફરિયાદી બન્યા છે. કાંકરીયામાં રાઇડ તૂટવાના મામલે બેદરકારી બદલ રાઇડના માલિક અને સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
કાંકરિયામાં રાઇડ તુટવાના મામલે CMની પ્રતિક્રિયા
અમદાવાદના કાંકરિયામાં રાઈડ્સ તૂટવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સાતમ -આઠમના મેળામાં ખાસ કાળજી રાખવામાં આવશે. આ સાથે જ પૂરતી ચકાસણી સાથે મંજૂરી આપવામાં આવશે. કાંકરીયા રાઇડસ તૂટવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે સંચાલકથી લઈને તમામ જવાબદારોની ધરપકડ કરવામાં આવી છે. આ જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.