કાંકરિયા ખાતે રાઈડ દુર્ઘટના બાદ સરકાર દ્વારા હજુ સુધી તીર્થને સહાય ન મળતા તીર્થના માતા પિતા સચિવાલય પહોંચ્યા હતા. તીર્થના માતા પિતા મુખ્યમંત્રીને સહાય કરવાની રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યા હતા.
કાંકરિયામાં રાઇડ તુટતા એક કિશોરનો પગ કપાયો હતો
કિશોરના માતા-પિતાએ CM રૂપાણી આપી હતી બાંહેધરી
મદદ ન મળતા પરિવારે CM રૂપાણી સાથે કરી મુલાકાત
અમદાવાદમાં કાંકરિયામાં રાઇડ તુટી હતી. આ રાઇડ તુટતા એક કિશોરનો પગ કપાયો હતો. જેથી કિશોરના માતા-પિતાને મુખ્યમંત્રી રૂપાણીએ બાંહેધરી આપી હતી.તેમજ સહાય કરવા માટે વિચારણા કરવાની બાંહેધરી આપી હતી. પરંતુ ભોગ બનનાર તીર્થ ભાવસારને હજુ સુધી મદદ પહોંચી નથી. તંત્ર અત્યાર સુધી આશ્વાસન આપી રહ્યું હતું. મદદ ન મળતા પરિવારે CM રૂપાણીની મુલાકાત કરી હતી. રાઇડ તુટવાની ઘટનામાં 2 લોકોના મોત પણ થયાં હતા.
મહત્વનું છે કે, જુલાઈમાં કાંકરિયા ખાતે રાઈડ તૂટવાની ઘટના બની હતી. આ ઘટનામાં 2ના મોત અને 29 લોકો ઘાયલ થયા હતા. આથી સરકારે ઘટનાનો ભોગ બનનારને સહાય કરવાની જાહેરાત કરી હતી. પરંતુ સહાય કરવાની તંત્રની વાતો માત્ર કાગળ પર જ જોવા મળી હોવાનું સામે આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,આ દુર્ઘટનાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદના વ્યક્ત કરીને મૃતકોના વારસોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂા. 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત તીર્થને સહાય કરવાની બાંહેધરી પણ આપી હતી.