અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટતા 2 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ તંત્ર જાગ્યુ છે. ત્યારે હવે તંત્રએ તપાસ શરૂ કરી છે. FSLના અધિકારીઓ અને ફાયરની ટીમે કાંકરિયાની તપાસ કરી છે. ક્રેનથી રાઈડની તપાસ કરવામાં આવી છે. FSLના અધિકારી આર.બી.મજમુદારની આગેવાનીમાં તપાસ કરવામાં આવી છે. આ દરમિયાન અધિકારીઓએ ટેક્નિકલ ખામીઓની તપાસ કરી હતી.
અમદાવાદના કાંકરિયામાં રાઈડ્સ તૂટવા મામલે નવો ખુલાસો થયો છે. રાઈડ્સના ફિટનેસ સર્ટીમાં ગંભીર બાબતો સામે આવી છે. ટેકનિકલ એક્સપર્ટે રાઈડ્સની કેટલીક ખામીઓ દૂર કરવા માટે સૂચના આપી હતી. રાઈડ્સના નટ બોલ્ટ બદલવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. સાથે જ સેફ્ટી લોકની પણ ખરાઈ કરવા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સેફ્ટી રિપોર્ટ 6 જુલાઈએ કરવામાં આવ્યો હતો. જોકે માલિક અને રાઈડ્સ સંચાલક દ્વારા રિપોર્ટને ગંભીરતાથી લેવામાં નહોતો આવ્યો અને આ જ બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે.
શું કહે છે કાયદો ? જવાબદાર કોણ ?
અમદાવાદના કાંકરીયા એડવેન્ચર પાર્કમાં રાઈડ તૂટતા 2 લોકોનાં મોત થયા છે. જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના ઉપાધ્યક્ષ જિતેન્દ્ર મોહન શર્મા અને એડવોકેટ કાલિકા પ્રસાદ કાલાનું કહેવું છે કે જો એમ્યુઝમેન્ટ પાર્કમાં કોઈ પણ પ્રકારની ઘટના બને તો તેની પાછળ એમ્યુઝમેન્ટ પાર્કનું મેનેજમેન્ટની લાપરવાહી જવાબદાર ગણાવી શકાય.
જેથી સિવિલ કેસ કરી શકાય. આવી ઘટનામાં કોર્ટ એમ્યુઝમેન્ટ પાર્ક મેનેજમેન્ટની બેદરકારી અને પીડિતને થયેલા નુકસાનનું અવલોકન કર્યા બાદ સહાયની રકમ નક્કી કરવામાં આવે છે. પણ જો આવી ઘટનામાં પીડિતની ભૂલ કે બેદરકારી હયો તો એમ્યુઝમેન્ટ પાર્કને જવાબદાર ગણાવી શકાય નહીં. જો કોઈ જાણી જોઈને રાઈડમાંથી કૂદી જાય તો તેના માટે એમ્યુઝમેન્ટ પાર્ક જવાબદાર નથી. જેથી પીડિતને કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી.
આ લોકો સામે નોંધાયો ગુનો
અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટવાના મામલે કુલ 6 લોકો સામે ગુનો નોંધાયો છે. સંચાલક, મેનેજર, 2 ઓપરેટર અને હેલ્પર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાઇડના માલિક ઘનશ્યામ પટેલની ગઇકાલે અટકાયત કરાઇ છે. કલમ 304 અને 114 મુજબ મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલે પોલીસે 6 લોકો સામે ફરિયાદ કરી છે. તમામ લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે. પોલીસે ઘનશ્યામ પટેલ, ભાવેશ પટેલ, તુષાર ચોકસી, યશ ઉર્ફે મહેન્દ્રભાઈ પટેલ, કિશન મહંતી અને મનીષ વાઘેલાની સામે ફરિયાદ દાખલ કરી છે. કાંકરિયાના આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ પટેલ ફરિયાદી બન્યા છે. કાંકરીયામાં રાઇડ તૂટવાના મામલે બેદરકારી બદલ રાઇડના માલિક અને સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
કાંકરિયામાં રાઇડ તુટવાના મામલે CMની પ્રતિક્રિયા
અમદાવાદના કાંકરિયામાં રાઈડ્સ તૂટવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સાતમ -આઠમના મેળામાં ખાસ કાળજી રાખવામાં આવશે. આ સાથે જ પૂરતી ચકાસણી સાથે મંજૂરી આપવામાં આવશે. કાંકરીયા રાઇડસ તૂટવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે સંચાલકથી લઈને તમામ જવાબદારોની ધરપકડ કરવામાં આવી છે. આ જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.