અમદાવાદમાં કાંકરિયાની રાઈડ તૂટવા મામલે હવે મેયર બિજલ પટેલ ઈજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા છે. કાંકરિયા રાઇડ તૂટવાથી 29 જેટલા ઈજાગ્રસ્તો એલ.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલ આ ઈજાગ્રસ્તોની મુલાકાત માટે એલજી હોસ્પિટલ પહોંચ્યા છે.
જ્યારે બીજી તરફ આ ઘટનાને 36 કલાક વિત્યા છતાં તપાસના નામે મીંડુ છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જાણે મેયરને પણ તપાસમાં કોઈ રસ ન હોય તેવું સામે આવી રહ્યું છે.
અમદાવાદના કાંકરિયામાં રાઈડ દુર્ઘટના મામલે હવે મેયર અને કોર્પોરેશનના અધિકારીઓએ એલ.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી. જોકે આ મુલાકાત દરમિયાન મીડિયાને દર્દીઓથી દૂર રાખવામાં આવ્યા હતા. જ્યારે મીડિયાએ જવાબદારી અંગે સવાલ પૂછતા મેયર ભડક્યા હતા. મેયરે જવાબ આપવાનું ટાળીને ચાલતી પકડી હતી. મેયરે જણાવ્યું કે ઘટનામાં કોર્પોરેશનની કોઈ જવાબદારી નથી બનતી. કોર્પોરેશને માત્ર જગ્યા જ ભાડે આપી હતી. આ જવાબદારી પોલીસ તેમજ રોડ અને બિલ્ડિંગ વિભાગની છે.
એલજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.સંજય ત્રિપાઠીનું નિવેદન
અમદાવાદમાં કાંકરિયાની રાઈડ તૂટવાતા 29 જેટલા ઇજાગ્રસ્તો એલ.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે એલજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. સંજય ત્રિપાઠીએ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, હાલ તમામ 28 ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જેમાં 9 દર્દીઓની સારવાર ટ્રોમામાં ચાલી રહી છે. મોટાભાગના દર્દીઓને કરોડરજ્જુની ઇજા પહોંચી છે. જ્યારે પગ, થાપા, હાથમાં ફ્રેકચર હોય તેવા કુલ 8 દર્દીઓ સારવાર હેઠળ છે. 28 દર્દીઓમાંથી 27 દર્દીઓની હાલત સ્થિર છે, હાલ કોઇ પણ દર્દીને રજા નથી અપાઇ.
અમદાવાદના કાંકરિયામાં રાઈડ્સ તૂટવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. કાંકરીયા રાઇડસ તૂટવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે સંચાલકથી લઈને તમામ જવાબદારોની ધરપકડ કરવામાં આવી છે. આ જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદના કાંકરિયામાં રાઈડ્સ તૂટવા મામલે નવો ખુલાસો સામે આવ્યો હતો. રાઈડ્સના ફિટનેસ સર્ટીમાં ગંભીર બાબતો સામે આવી હતી. ટેકનિકલ એક્સપર્ટે રાઈડ્સની કેટલીક ખામીઓ દૂર કરવા માટે સૂચના આપી હતી. રાઈડ્સના નટ બોલ્ટ બદલવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટવાના મામલે કુલ 6 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. તમામ લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે. પોલીસે ઘનશ્યામ પટેલ, ભાવેશ પટેલ, તુષાર ચોકસી, યશ ઉર્ફે મહેન્દ્રભાઈ પટેલ, કિશન મહંતી અને મનીષ વાઘેલાની સામે ફરિયાદ દાખલ કરી છે. કાંકરિયાના આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ પટેલ ફરિયાદી બન્યા છે.