અમદાવાદમાં કાંકરિયા પરિસરના એમ્યુઝમેન્ટપાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાની ઘટનાએ મનોરંજન માણતા લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. રજાઓ અને તહેવારોમાં રળી લેવાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકી દેતા કોન્ટ્રાક્ટરોની દાનત આ ઘટનાએ છતી કરી દીધી છે. તો આવી રાઈડને લાઈસન્સ આપતા તંત્રની અને રાઈડ સંચાલકોની મિલિભગત મનોરંજનના સાધનને કઈ રીતે માતમનું હથિયાર બનાવી શકે છે તે આ ઘટનાએ જગ જાહેર કરી દીધું છે.
અમદાવાદમાં કાંકરિયા પરિસરના એમ્યુઝમેન્ટપાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડવાની ઘટનાએ મનોરંજન માણતા લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. રજાઓ અને તહેવારોમાં રળી લેવાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકી દેતા કોન્ટ્રાક્ટરોની દાનત આ ઘટનાએ છતી કરી દીધી છે. તો આવી રાઈડને લાઈસન્સ આપતા તંત્રની અને રાઈડ સંચાલકોની મિલિભગત મનોરંજનના સાધનને કઈ રીતે માતમનું હથિયાર બનાવી શકે છે તે આ ઘટનાએ જગ જાહેર કરી દીધું છે. ત્યારે જોઈએ આ મનોરંજનના કોન્ટ્રાક્ટરો અને લાયસન્સના ઠેકેદારોની બેદરકારીએ સર્જેલી જીવલેણ હોનારતનો આ અહેવાલ.
એક તરફ રવિવારની રજા અને બીજી તરફ ગૌરીવ્રતના તહેવારનો સંયોગ હતો. તો પછી આના જેવો મનોરંજન માટેનો સંયોગ બીજો કયો હોઈ શકે. એ રવિવારે કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્ક ખીચોખીચ હતો. પાર્કમાં રાબેતા મુજબ રાઈડ ધમધમી રહી હતી. સહેલાણીઓ માટે તે મનોરંજનું સાધન હતી તો રાઈડ સંચાલકો માટે તે પૈસા કમાઈ લેવાની ચીમકી હતી. મનોરંજન કરનારા નાગરિકોનો એક લોટ ત્યાર બાદ બીજો લોટ ત્યાર બાદ ત્રીજો લોટ એમ રાઈડ પર સવાર થઈને જાણે આનંદની ડિસ્કવરી કરવા આસમાને વિહરી રહ્યો હતો.
કોઈ આનંદની અભિવ્યક્તિની ચિચાયારી પાડતું હતું તો કોઈ બૂમો પાડીને પોતાનો પોતાનો ગતિમાન આવેશ વ્યક્ત કરી રહ્યાં હતા. આજ સમયે કાંકરિયાના બાલવાટિકાના ગેટ નંબર -4 પાસે આવેલી ડિસ્કવરી રાઈડ પોતાની ક્ષમતા કરતાં વધારે લોકોને બેસાડીને આસમાને ગોળગોળ ઘૂમી રહી હતી. પરંતુ આ શું થયું...? ડિસ્કવરી રાઈડ 60 ફૂટ ઊંચી પહોંચ્યા બાદ ટેક્નિકલ ખામીના કારણે અધવચ્ચે જ અટકી ગઈ અને લોકો હજુ કંઈ સમજે તે પહેલા તો તે જમીન પર તૂટી પડી અને તેમાં બેઠેલા લોકો નીચે પછડાયા. મનોરંજનનો શોર દર્દથી કણસાતી ચિચિયારીઓમાં ફેરવાઈ ગયો. રાઈડ ફસડાઈ પડવાની દુર્ઘટનામાં 2 લોકોના કરુણ મોત થઈ ગયા અને 29 લોકોને ઈજાઓ પહોંચી. જેમાંથી હજુ બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
કાંકરીયામાં જે કંપનીની ડિસ્કવરી રાઈડ ધડામ દઈને તૂટી પડી છે તે સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી. નામની કંપનીને એએમસીએ 20 વર્ષની લીઝ આપેલી છે. સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાલિના સંચાલક ઘનશ્યામભાઇ પટેલ અને તેમના પુત્ર ભાવેશ પટેલ છે. ઘનશ્યામ પટેલ ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ છે. ચાર વર્ષ પહેલા પાર્કમાં આ રાઇડ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. અમ્યુઝમેન્ટ પાર્કની રાઈડનું લાઈસન્સ પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું. પરંતુ આ લાઈસન્સ સરકારના આરએન્ડબી વિભાગ દ્વારા કરાયેલા મિકેનિકલ ઈન્સ્પેક્શનના રિપોર્ટ અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના પ્રમાણપત્ર બાદ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોન્ટ્રાક્ટરે પોતાના સેફ્ટી એક્સપર્ટ પાસેથી રાઈડ સેફ્ટી પ્રમાણપત્ર લીધા હતા. પરંતુ રાઈડ દુર્ઘટનાની ઘટનાએ તમામ રિપોર્ટમાં રહેલી ક્ષતિઓ અને રાઈડ સંચાલકની ઘોર ઉપેક્ષા છતી કરી દીધી દીધી છે.
રાઈડ સેફ્ટીનો એક રિપોર્ટ 6 જુલાઈએ જ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં રાઈડના નટબોલ્ટ રિપ્લેસ કરવા તથા અન્ય ત્રણ બાબતો અંગે કહેવામાં આવ્યું હતું. છતાં પૈસા કમાઈ લેવાની લ્હાયમાં રાઈડ સંચાલકે નટબોલ્ટ રિપ્લેસની વાત ધ્યાન પર લીધી નહીં અને તેના કારણે રવિવારે રાઈડ કોલેપ્સ થવાની દુર્ધટના સર્જાઈ. રાઈડ સંચાલકની બેદરકારીની વાત આટલેથી અટકતી નથી.
લાઈસન્સ શાખાએ ઈસ્યૂ કરેલી કોપીમાં 24 રાઈડનું વર્ણન કરાયું છે પરંતુ તે કોપીમાં 25 નંબરથી ડિસ્કવરી રાઈડનું નામ હાથથી લખી દેવાયું છે. કોપીમાં કરાયેલી છેડછાડ પણ એક તપાસનો વિષય છે. 6 જુલાઈએ આપેલો નેગેટિવ રિપોર્ટ છતાં કોન્ટ્રાક્ટરે લાલચ રાખીને એક અઠવાડિયા સુધી રાઈડ ચાલુ રાખી. રિપોર્ટ નેગેટિવ આપ્યો હોવા છતાં અઠવાડિયા સુધી અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની રહેમ નજર હેઠળ લોકોની જિંદગી સાથે રમત ચાલુ રહી અને અંતે 2 નાગરિકોનો ભોગ લીધો અને અનેક લોકોને ઘાયલ કર્યા.
અમદાવાદ મ્યુનિ. તંત્રની સૌથી મોટી નબળાઇ એ છે કે, કોઇ ઘટના બને ત્યારે દેખાડો કરવા તંત્ર દોડવા માંડે છે અને સ્થિતિ થાળે પડે એટલે પછી જૈસે થૈની સ્થિતિમાં આવી જાય છે. હાલમાં તો રાઈડ તૂટી પડવા મામલે મણિનગર પોલીસે ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ તેના પુત્ર સહિત છ લોકો સામે બેદરકારી બદલ મોતનો ગુનો નોંધ્યો છે અને આ તરફ FSLના આર.બી.મજમુદારની આગેવાનીમાં ફાયરની ટીમે ક્રેનની મદદથી રાઈડમાં રહેલી ખામીની પણ તપાસ આદરી છે. પરંતુ આ બધું પ્રારંભે નહીં અંતે શૂરા જેવો ઘાટ છે.
હજુ એક મહિના પહેલા જૂનના પ્રારંભે જ રિવરફ્રન્ટમાં એક રાઇડ બંધ પડી જતા ફાયરબ્રિગેડની સીડીથી સૌને ઉતારવા પડ્યા હતા. અગાઉના વર્ષોમાં પણ જીએનએફસી ગ્રાઉન્ડની એક રાઇડમાં અકસ્માત થયો હતો. આ ઘટનામાંથી બોધપાઠ લઇને શહેરની તમામે તમામ રાઇડનું ઇન્સપેક્શન કેમ ન કરાયું તે પણ એક પ્રશ્ન છે.