અમદાવાદના કાંકરિયા રાઇડકાંડ મામલે AMCનો આશ્ચર્યજનક નિર્ણય સામે આવ્યો છે. AMCએ ફરીવાર એ જ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટને રાઇડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
કાંકરિયા રાઇડકાંડ મામલે AMCનો આશ્ચર્યજનક નિર્ણય
ફરીવાર એ જ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટને રાઇડનો કોન્ટ્રાક્ટ
2019માં કાંકરિયામાં રાઈડ તૂટતાં 2 લોકોના થયા હતા મોત
આશ્ચર્યની વાત છે કે 2019માં જે રાઈડકાંડ થયો હતો તેને લઈને કાર્યવાહી કરવાને બદલે આ વર્ષે એકવાર ફરી એ જ કોન્ટ્રાક્ટરોને AMCએ કોન્ટ્રાકટ આપ્યો છે. તમને જણાવી દઇએ કે વર્ષ 2019 દરમ્યાન કાંકરિયામાં રાઈડ તૂટતાં 2 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે પણ આ જ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટનો કોન્ટ્રાકટ હતો.
એમ્યુઝમેન્ટ પાર્કની ડીસ્કવરી રાઈડ્સ તુટી પડતા બે વ્યક્તિના કરૂણ મૃત્યુ થયા હતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં કલંકિત કહી શકાય તેવી દુર્ઘટના 2019ના વર્ષમાં કાંકરીયા લેક ફ્રન્ટ ખાતે થઈ હતી. કાંકરીયા બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કની ડીસ્કવરી રાઈડ્સ તુટી પડતા બે વ્યક્તિના કરૂણ મૃત્યુ થયા હતા તથા પાંચ કરતા વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી જેના કારણે કાંકરીયા ફ્રન્ટના એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરવામાં આવ્યા હતા. હવે મ્યુનિ. કોર્પોરેશને ત્રણ વર્ષ બાદ ફરીથી તે કોન્ટ્રાકટર ને રાઈડ્સ શરૂ કરવા મંજૂરી આપી છે. આમ કોન્ટ્રાકટર ને સજા કરવાને બદલે છાવરવામાં આવ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષથી બંધ એમ્યુઝમેન્ટ પાર્ક નવેસરથી શરૂ કરવામાં આવી રહ્યાં છે
તમને જણાવી દઇએ કે, શહેરના કાંકરીયા ફ્રન્ટ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી બંધ એમ્યુઝમેન્ટ પાર્ક નવેસરથી શરૂ કરવામાં આવી રહ્યાં છે. બાલવાટિકામાં એમ્યુઝમેન્ટ પાર્ક-2 શરૂ કરવા માટે કોન્ટ્રાકટર સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ. દ્વારા તમામ લાઈસન્સ નવેસરથી લેવામાં આવ્યા છે અને હવે તે ફરી રાઇડ ચલાવશે. આ એ જ કોન્ટ્રાકટર છે કે જેની બેદરકારીથી 2019માં “ડીસ્કવરી” રાઈડ્સ દુર્ઘટના થઈ હતી. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા તો પાંચને ઇજા થઈ હતી.
કોર્પોરેશન દ્વારા એ જ કોન્ટ્રાક્ટરને ફરીવાર રાઇડ્સ શરૂ કરવા મંજૂરી અપાઇ
આ દુર્ઘટનાને પગલે એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરવામાં આવ્યા હતા તેમજ કોન્ટ્રાકટર સામે પોલિસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક માટે નવી એસઓપી તૈયાર કરવમાં આવી હતી જે મુજબ તમામ રાઈડ્સના ફરીથી ઈલેક્ટ્રિક મિકેનિકલ પરીક્ષણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. હવે કોર્પોરેશન દ્વારા આજ કોન્ટ્રાક્ટરને ફરીવાર રાઇડ્સ શરૂ કરવા મંજૂરી આપી દીધી છે. તો આ અંગે વિપક્ષનું કહેવું છે કે, ભાજપના સત્તાધીશોને લોકોના જીવનની કોઈ જ કિંમત નથી. કારણ કે આખરે બેદરકારી બતાવનાર કોન્ટ્રાક્ટરને જ ફરી એની જ એ કામગીરી કઈ રીતે આપી શકાય.