અમદાવાદમાં કાંકરિયામાં રાઈડ તૂટવાના કારણે 2 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ હવે તંત્ર જાણે સફાળું જાગ્યુ છે. તંત્ર દ્વારા કાંકરિયામાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે. રાઈડ તૂટવા મામલે રાજ્ય સ્તરની એજન્સીઓ તપાસ કરશે.
FSLની ટીમ અને અન્ય એજન્સીઓ પણ તપાસ કરવા માટે પહોંચશે. જેમાં ટેક્નિકલની ટીમો પણ તપાસમાં જોડાશે. આ સાથે જ આજે કાંકરિયા ખાતે ક્રેઈનથી રાઈડને નીચે ઉતારવામાં આવશે.
બેદરકારી બદલ રાઇડના માલિક અને સંચાલક સામે નોંધાયો ગુનો
અમદાવાદના કાંકરીયામાં રાઈડ તૂટવાના મામલે 2 લોકોનાં મોત થયા હતા. ત્યારે બેદરકારી બદલ રાઈડના માલિક અને સંચાલક સામે ગુનો નોંધાયો છે. મણિનગર પોલીસ સ્ટેશનમાં માલિક અને સંચાલક સામે ગુનો નોંધાયો છે. પોલીસે રાઈડના માલિક ઘનશ્યામ પટેલની અટકાયત કરી છે. છેલ્લા 4 વર્ષથી કાંકરીયામાં આ રાઈડ ચલાવવામાં આવી રહી હતી. સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્ક લિમિટેડને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના કાંકરિયાના બાલવાટિકા પાસે ગઇકાલે રાઈડ તૂટતા 2 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે અન્ય ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે રાઇડ તૂટવાના મામલે 6 લોકો સામે ગુનો નોંધાયો છે. સંચાલક, મેનેજર, 2 ઓપરેટર-હેલ્પર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કાંકરિયાના આસી. મેનેજર ચિરાગ પટેલ ફરિયાદી બન્યા છે.
રાઇડ્સ તુટવા મામલે પ્રદિપસિંહ જાડેજાનુ નિવેદન
આ મામલે મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એલ.જી. હોસ્પિટલમા દર્દીઓની મુલાકાત કરી હતી. રાઇડ્સ તૂટવા મામલે પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યુ હતું કે રાઇડમાં 31 લોકો બેઠા હતાં બે લોકોના મોત થયા છે. જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. રવિવાર હોવાં છતાં ડોક્ટરોને બોલાવી સારવાર આપવામાં આવી રહી છે. આ સારવારનો તમામ ખર્ચ AMC કરશે. તટસ્થ તપાસ કરવામા આવશે, કોઈને છોડવામાં આવશે નહીં. આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે.
FSL અધિકારી મજમુદારનું નિવેદન
FSL અધિકારી આર. બી. મજમુદારે નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યુ હતું કે સોમવારે સવારે વધુ તપાસ કરવામાં આવશે. મિકેનિકલ ડિફેક્ટ કઈ રીતે આવી તે તપાસ કરવામાં આવશે.
મેયર બિજલ પટેલનું નિવેદન
જ્યારે મેયર બિજલ પટેલે કહ્યું હતું કે, આ ઘટના બની છે તે ખુબ જ ગંભીર ઘટના છે. કોર્પોરેશન અને સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે. આ ઘટના ટેક્નિકલ ખામીના કારણે બની છે તેના પર કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે.
જવાબદારો સામે પગલાં લેવાશેઃ વિજય નેહરા
વિજય નેહરાએ કહ્યું હતું કે, જવાબદારો સામે પગલાં લેવાશે. આ મામલે સંચાલક ઘનશ્યામ પટેલની અટકાયત પણ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે અને આ દૂર્ઘટના કઇ રીતે બની તેની તપાસ કરવામાં આવશે અને એફઆઇઆર નોંધવામાં આવશે.