અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટવાના મામલે કુલ 6 લોકો સામે ગુનો નોંધાયો છે. સંચાલક, મેનેજર, 2 ઓપરેટર અને હેલ્પર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાઇડના માલિક ઘનશ્યામ પટેલની ગઇકાલે અટકાયત કરાઇ છે. કલમ 304 અને 114 મુજબ મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલે પોલીસે 6 લોકો સામે ફરિયાદ કરી છે. તમામ લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે. પોલીસે ઘનશ્યામ પટેલ, ભાવેશ પટેલ, તુષાર ચોકસી, યશ ઉર્ફે મહેન્દ્રભાઈ પટેલ, કિશન મહંતી અને મનીષ વાઘેલાની સામે ફરિયાદ દાખલ કરી છે. કાંકરિયાના આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ પટેલ ફરિયાદી બન્યા છે. કાંકરીયામાં રાઇડ તૂટવાના મામલે બેદરકારી બદલ રાઇડના માલિક અને સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદમાં કાંકરિયામાં રાઈડ તૂટવાના કારણે 2 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ હવે તંત્ર જાણે સફાળું જાગ્યુ છે. તંત્ર દ્વારા કાંકરિયામાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે. રાઈડ તૂટવા મામલે રાજ્ય સ્તરની એજન્સીઓ તપાસ કરશે. FSLની ટીમ અને અન્ય એજન્સીઓ પણ તપાસ કરવા માટે પહોંચશે. જેમાં ટેક્નિકલની ટીમો પણ તપાસમાં જોડાશે. આ સાથે જ આજે કાંકરિયા ખાતે ક્રેઈનથી રાઈડને નીચે ઉતારવામાં આવશે.
અમદાવાદના કાંકરીયામાં રાઈડ તૂટવાના મામલે 2 લોકોનાં મોત થયા હતા. ત્યારે બેદરકારી બદલ રાઈડના માલિક અને સંચાલક સામે ગુનો નોંધાયો છે. મણિનગર પોલીસ સ્ટેશનમાં માલિક અને સંચાલક સામે ગુનો નોંધાયો છે. મણીનગર પોલીસે રાઈડના માલિક ઘનશ્યામ પટેલની અટકાયત કરી છે. ઘનશ્યામ પટેલના પુત્ર ભાવેશ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે. છેલ્લા 4 વર્ષથી કાંકરીયામાં આ રાઈડ ચલાવવામાં આવી રહી હતી. સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્ક લિમિટેડને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
કાંકરિયામાં રાઇડ તુટવાના મામલે CM રૂપાણીએ લીધી ગંભીર નોંધ
અમદાવાદના કાંકરિયામાં રાઈડ્સ તૂટવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સાતમ -આઠમના મેળામાં ખાસ કાળજી રાખવામાં આવશે. આ સાથે જ પૂરતી ચકાસણી સાથે મંજૂરી આપવામાં આવશે. કાંકરીયા રાઇડસ તૂટવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે સંચાલકથી લઈને તમામ જવાબદારોની ધરપકડ કરવામાં આવી છે. આ જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.