અમદાવાદના કાંકરિયામાં રાઈડ્સ તૂટવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સાતમ -આઠમના મેળામાં ખાસ કાળજી રાખવામાં આવશે. આ સાથે જ પૂરતી ચકાસણી સાથે મંજૂરી આપવામાં આવશે.
કાંકરીયા રાઇડસ તૂટવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે સંચાલકથી લઈને તમામ જવાબદારોની ધરપકડ કરવામાં આવી છે. આ જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદના કાંકરિયામાં રાઈડ્સ તૂટવા મામલે નવો ખુલાસો થયો છે. રાઈડ્સના ફિટનેસ સર્ટીમાં ગંભીર બાબતો સામે આવી છે. ટેકનિકલ એક્સપર્ટે રાઈડ્સની કેટલીક ખામીઓ દૂર કરવા માટે સૂચના આપી હતી. રાઈડ્સના નટ બોલ્ટ બદલવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
આ સાથે જ સેફ્ટી લોકની પણ ખરાઈ કરવા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સેફ્ટી રિપોર્ટ 6 જુલાઈએ કરવામાં આવ્યો હતો. જોકે માલિક અને રાઈડ્સ સંચાલક દ્વારા રિપોર્ટને ગંભીરતાથી લેવામાં નહોતો આવ્યો અને આ જ બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે.
અમદાવાદમાં કાંકરિયામાં રાઈડ તૂટવાના કારણે 2 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ હવે તંત્ર જાણે સફાળું જાગ્યુ છે. તંત્ર દ્વારા કાંકરિયામાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે. રાઈડ તૂટવા મામલે રાજ્ય સ્તરની એજન્સીઓ તપાસ કરશે. FSLની ટીમ અને અન્ય એજન્સીઓ પણ તપાસ કરવા માટે પહોંચશે. જેમાં ટેક્નિકલની ટીમો પણ તપાસમાં જોડાશે. આ સાથે જ આજે કાંકરિયા ખાતે ક્રેઈનથી રાઈડને નીચે ઉતારવામાં આવશે.
બેદરકારી બદલ રાઇડના માલિક અને સંચાલક સામે નોંધાયો ગુનો
અમદાવાદના કાંકરીયામાં રાઈડ તૂટવાના મામલે 2 લોકોનાં મોત થયા હતા. ત્યારે બેદરકારી બદલ રાઈડના માલિક અને સંચાલક સામે ગુનો નોંધાયો છે. મણિનગર પોલીસ સ્ટેશનમાં માલિક અને સંચાલક સામે ગુનો નોંધાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળતાં અહેવાલ મુજબ પોલીસે રાઈડના માલિક ઘનશ્યામ પટેલની અટકાયત કરી છે. ઘનશ્યામ પટેલના પુત્ર ભાવેશ પટેલની પણ અટકાયત કરવામાં આવી છે. છેલ્લા 4 વર્ષથી કાંકરીયામાં આ રાઈડ ચલાવવામાં આવી રહી હતી. સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્ક લિમિટેડને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.