પાલમપુરઃ ઘણી વાર ઉંમર વધવાની સાથે આપણને ભૂલવાની બીમારી થઇ જતી હોય છે. પણ હવે તમે ચા પીને તે બીમારી દૂર કરી શકો છો. કાંગડા ચામાંથી બનેલી ટી વાઇનથી આ શક્ય બન્યું છે. આઈએચબીટી (ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલય બાયો રિસર્ચ ટેક્નોલોજી) પાલમપુરના વિજ્ઞાનીઓએ કાંગડા ચામાંથી ટી વાઇન બનાવવાની ટેક્નિક તૈયાર કરી છે, સાથે-સાથે આ સંસ્થાએ બંગાળની કંપની કેમેલિયા બેવરેજિસ પ્રા. લિ. સાથે પણ કરાર કર્યો છે.
ટી વાઇન બનાવવામાં લગભગ એક વર્ષનો સમય લાગે છે. તેને ખૂબ જ જલદી માર્કેટમાં લવાશે. આ ટેક્નિકથી રોકાણકારોને આકર્ષિત કરવા સંસ્થાએ એક હજાર લિટર ક્ષમતાવાળી મશીનરી પોતાની પાસે રાખી છે. કાંગડા ચાને પહેલાં હળવા તાપમાને ઉકાળવામાં આવે છે અને ત્યારબાદ તેમાં યીસ્ટ ભેળવવામાં આવે છે. આ દરમિયાન ચામાં આલ્કોહોલની માત્રા બને છે. ત્યારબાદ તેને નિર્ધારિત કરીને મીઠાશને નિયંત્રિત કરાય છે. ત્યારબાદ તેને એક વર્ષ સુધી રાખવામાં આવે છે. આ સમયગાળામાં ટી વાઇનમાં ખુશબૂ તૈયાર થાય છે અને તેનો ઉપયોગ પણ કરાય છે. એક દિવસમાં 120 મિલિલિટર ટી વાઇનનું સેવન કરવામાં આવે છે.
ટી વાઇન હાર્ટએટેકને રોકવામાં પણ મદદરૂપ છે. શુગરથી પીડાતા લોકો તેનો પ્રયોગ કરી શકે છે, સાથે-સાથે ઠંડીથી બચવા પણ ટી વાઇન કારગર હોય છે. જે લોકોને ભૂલવાની બીમારી છે તેમના માટે આ અક્સીર ઉપાય છે. ટી વાઇનની અમેરિકામાં ખાસ્સી માગ છે. તેની એક બોટલ તૈયાર કરવામાં 100 રૂપિયાનો ખર્ચ થાય છે પણ માર્કેટમાં તેને રૂ. 600થી 700માં વેચવામાં આવે છે.
હિમાચલ પ્રદેશમાં કાંગડા ચાનું ઉત્પાદન કાંગડા, મંડી અને ચંબા જિલ્લાના કેટલાક ભાગમાં થાય છે. સૌથી વધુ કાંગડા ચા ધર્મશાળા, પાલમપુર અને બૈજનાથમાં બને છે. આઇએચબીટી પાલમપુરે કાંગડા ચાને પ્રમોટ કરવા માટે વેલ્યૂ એડિશન બાદ વિવિધ પ્રકારનાં ઉત્પાદન તૈયાર કર્યાં છે.