કંગના રણૌતે ફરી એકવાર આલિયા ભટ્ટ પર તેની ફિલ્મ મણિકર્ણિકાને સપોર્ટ નહીં કરવા બદલ નિશાન તાક્યું હતું અને કહ્યું કે ''તું કરણ જોહરની કઠપૂતળી છો. તારા પોતાના દમ પર ઉભી થા.'' અગાઉ કંગનાએ દાવો કર્યો હતો કે આલિયાએ રાઝી ફિલ્મનું ટ્રેલર તેને મોકલેલું અને કેવું લાગ્યું તેનો રિસ્પોન્સ પૂછેલો. જ્યારે મારી ફિલ્મ મણિકર્ણિકાની વાત આવી ત્યારે આલિયા પાસે તેના માટે સમય નથી કંઈ બોલવામાં કે કહેવામાં રસ પણ નથી.
કંગનાએ એક એન્ટરટેઇન્મેન્ટ વેબસાઈટને જણાવ્યું હતું કે ''મેં આલિયાને કોલ કરેલો અને પૂછ્યું હતું કે મારી ફિલ્મ જોતાં તને શેનો ડર લાગે છે? આલિયાને એવું કેમ લાગે છે કે મણિકર્ણિકા મારી પર્સનલ કોન્ટ્રોવર્સી છે. આખો દેશ ફિલ્મ વિશે વાત કરી રહ્યો છે અને હું આશ્ચર્યમાં છું કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના જ કામ બાબતે આટલું ચૂપ કેમ બેઠું છે. મેં આલિયાને કીધું કે ''થોડી હિંમત કર અને વુમન એમ્પાવરમેન્ટને સપોર્ટ કર. હું તારી ફિલ્મ કે કામને જાહેરમાં પ્રોત્સાહન આપું છું અને વખાણ કરું છું તો તને મારી ફિલ્મ જોવામાં શેનો ડર છે.''
કંગનાએ વધુમાં ઉમેર્યું હતું કે ''હું તને સલાહ આપીશ કે તું થોડી મોટી થા તારા દમ પર કઈંક કરી બતાવ. જો તેની પાસે તેનો પોતાનો મત ન હોય અથવા તેનું અસ્તિત્વ માત્ર કરણ જોહરની કઠપૂતળી તરીકે હોય તો હું તેને સફળ માનતી નથી. આશા રાખું છું કે આલિયાને સફળતા અને તેની જવાબદારી અંગે ભાન આવે. નેપો ગેંગને માત્ર ફેવર્સ આપવાનું અને લેવાનું જ કામ છે આલિયા તેનાથી ઉપર આવે તો સારું.'' કંગનાએ અગાઉ પણ બોલિવૂડ સ્ટાર્સની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ''મેં દંગલ રાઝી અને સિક્રેટ સુપરસ્ટારના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આલિયા અને આમિરે આ જ સપોર્ટ તેના માટે કર્યો નહીં. ''
ગુરુવારે થયેલી એક ઇવેન્ટમાં કંગનાએ બોલિવૂડમાં તેને હેરાન કરનારાઓ માટે ચોખ્ખો મેસેજ આપ્યો હતો કે ''એક વાત નક્કી છે. હું કોઈને છોડીશ નહીં. મેં ઇનકી વાટ લગા દૂંગી એક એક કો એક્સપોઝ કરુંગી.'' બીજી બાજુ આલિયાએ પણ ગલી બોયની એક પ્રેસ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે ''હું આશા રાખું છું કે કંગના મારા પર એટલી બધી ગુસ્સે ના હોય. મને નથી લાગતું કે મેં જાણીજોઈને કોઈ એવી વસ્તુ કરી હોય કે તે અપસેટ થઇ જાય. જો મેં કરી હોય તો હું પર્સનલ લેવલે તેની માફી માંગીશ.''