બોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં કંગના રનૌત વિરુદ્ધ શિવસેનાના મોરચાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સુશાંતનું મોત થયું ત્યારથી કંગના મુંબઇ પોલીસ અને બોલિવૂડના મૂવી માફિયાઓ સામે કાગારોળ મચાવી રહી છે અને ધીમે ધીમે આ વિવાદમાં શિવસેનાએ ઝુકાવતાં હવે જાહેરમાં જાણે યુદ્ધ ચાલી રહ્યું છે.
શિવસેના કરી બદલાની રાજનીતિ
સત્તાનો મરજી મુજબ ઉપયોગ કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે તેનો તાજો અને ઘૃણાસ્પદ દાખલો કંગના રનૌતના કાર્યાલયમાં કરવામાં આવેલી તોડફોડ છે. શિવસેનાની નજરતળે બીએમસીએ કંગનાના કાર્યાલય પર બુલડોઝર ફેરવી દેતાં કંગના ભડકી ઊઠી છે. તેનું કારણ એ છે કે કંગનાનાં કેટલાક નિવેદન શિવસેનાને પસંદ પડ્યાં નહોતાં.
લોકતાંત્રિક મૂલ્યો અને મર્યાદાઓના સરેઆમ ધજાગરા
સૌ પહેલાં શિવસેનાના નેતાઓએ કંગના વિરુદ્ધ કેટલાંક બેહુદાં નિવેદન કર્યાં અને જ્યારે એટલાથી સંતોષ ન થયો ત્યારે ઉદ્ધવ ઠાકરેની સરકારે બીએમસીની ડિમોલિશન સ્ક્વોડને કંગનાના કાર્યાલયને જમીનદોસ્ત કરવા માટે મોકલી આપી. તેની પાછળનો સ્પષ્ટ હેતુ કંગનાને પાઠ ભણાવવાનો હતો. શિવસેનાના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર બીએમસીની આ હરકત પર કદાચ પીઠ થાબડતી હશે, પરંતુ આવું પગલું ભરી શિવસેનાએ સ્વયંને લોકોની નજરમાંથી ઉતારી દેવાનું કામ કર્યું છે.આ કૃત્યથી લોકતાંત્રિક મૂલ્યો અને મર્યાદાઓના સરેઆમ ધજાગરા તો ઊડ્યા જ છે, સાથે-સાથે એ પણ સાબિત થયું છે કે આપણા નેતાઓમાં સત્તાનો ઘમંડ કેટલી હદે પહોંચ્યો છે.
સત્તાનો કેવો બેફામ ઉપયોગ !
મહારાષ્ટ્ર સરકારનું આ પગલું પ્રથમદર્શીય રીતે બદલાની રાજનીતિનું છે અને સાથે-સાથે ભારતીય લોકતંત્રને કલંકિત કરનારું છે. વિડંબના એ વાતની છે કે બદલાની આ રાજનીતિનું આ એકમાત્ર ઉદાહરણ નથી. મહારાષ્ટ્ર સરકાર જેવાં ઉદાહરણ સમગ્ર દેશમાં જોવા મળે છે. સંકુચિત રાજકીય સ્વાર્થ સિદ્ધ કરવા અથવા પોતાના રાજકીય અને વૈચારિક વિરોધીઓને તંગ કરવા માટે સત્તાનો કેવો બેફામ ઉપયોગ થાય છે તેની ગણતરી કરવી મુશ્કેલ છે. જ્યારે આવા કિસ્સા સામે આવે છે ત્યારે કાયદાના શાસનની મજાક ઊડવાની સાથે-સાથે ભારતીય લોકતંત્રની પણ બદનામી થાય છે.
કંગનાની ભાષા પણ બહુ વખાણવા લાયક તો નથી જ
કંગના-શિવસેનાની આ લડાઈમાં કોણ જીતશે એ ખબર નથી પણ કંગનાનાં તેવર અને તેની ભાષા પણ બહુ વખાણવા જેવાં તો નથી જ. કંગનાએ સુશાંતના કેસમાં પેટ ચોળીને શૂળ ઊભું કર્યું છે ને એક એવા માણસની દલાલી કરી રહી છે કે જે પોતે ડ્રગ એડિક્ટ હતો. તેના બચાવમાં એ બેફામ લવારા કરી રહી છે. બુધવારે વીડિયો બહાર પાડીને ઉદ્ધવ ઠાકરે સાથે જે તું-તારી કરી છે એ સાંભળ્યા પછી તો આઘાત જ લાગે. કંગનામાં સભ્યતા જેવું કંઈ છે કે નહીં એ સવાલ થાય.
કંગનાએ પણ વિવેક ગુમાવવો જોઇતો નહોતો
કંગનાએ કોઈ ફિલ્મના ડાયલોગ બોલતી હોય એમ કહ્યું છે કે, ‘ઉદ્ધવ ઠાકરે તુઝે ક્યા લગતા હૈ કિ તૂને ફિલ્મ માફિયા કે સાથ મિલકર મેરા ઘર તોડકર બહુત બડા બદલા લિયા હૈ. આજ મેરા ઘર ટૂટા હૈ. કલ તેરા ઘમંડ ટૂટેગા. યે વક્ત કા પહિયા હૈ, યાદ રખના હમેશા એક જૈસા નહીં રહતા હૈ. અબ મુઝે લગતા હૈ કિ તુમને મુઝ પર બહુત બડા અેહસાન કિયા હૈ, ક્યોંકિ મુઝે પતા તો થા કિ કશ્મીરી પંડિતો પર ક્યા બીતી હોગી. આજ મૈંને મહસૂસ કિયા હૈ. આજ મૈં ઈસ દેશ કો વચન દેતી હૂં કિ મૈં સિર્ફ અયોધ્યા પર હી નહીં, કશ્મીર પર ભી એક ફિલ્મ બનાઉંંગી ઔર અપને દેશવાિસયોં કો જગાઉંંગી, ક્યોંકિ મુઝે પતા થા કિ હમારે સાથ હોગા તો હોગા. લેકિન મેરે સાથ હુઆ હૈ. ઈસકા કુછ મતલબ હૈ, કુછ માયને હૈ. ઉદ્ધવ ઠાકરે યે જો ક્રૂરતા ઔર આતંક હૈ. અચ્છા હુઆ. યે મેરે સાથ હુઆ. ક્યોંકિ ઈસકે કુછ માયને હૈં’. આમ, આ સમગ્ર પ્રકરણમાં શિવસેનાની બદલાની ભાવના અને સત્તાનો ઘમંડ તો બીજી બાજુ કંગનાની તોછડાઇ અને ઉદ્ધતાઇનું વરવું પ્રદર્શન પણ થયું છે, જેે આપણને વિચારવા મજબૂર કરે છે કે આવું કેટલા અંશે વાજબી છે. એ વાત સાચી કે શિવસેનાનું પગલું સહેજ પણ યોગ્ય નથી, પરંતુ કંગનાએ પણ વિવેક ગુમાવવો જોઇતો નહોતો.