અંતે ટિકિટ ન આપતા નારાજ કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, શું કાંધલ જાડેજા અપક્ષ ચૂંટણી લડશે કે પછી કોઇ પાર્ટીમાં જોડાશે.
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર
અંતે કાંધલ જાડેજાએ NCPમાંથી આપ્યું રાજીનામું
ટિકિટ ન આપતા નારાજ કાંધલ જાડેજાએ આપ્યું રાજીનામું
ગુજરાતની ચૂંટણી ટાણે ગુજરાતના રાજકારણમાં કુતિયાણા બેઠકને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે છેલ્લી 2 ટર્મથી કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. 2012માં તેઓ NCPમાં જોડાયા હતા. પરંતુ NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા તેઓ NCPથી નારાજ હતા.
કાંધલ જાડેજાને BTP મેન્ડેટ આપે તેવી શક્યતા: સૂત્ર
વધુમાં તમને જણાવી દઇએ કે, ગુજરાતની રાજનીતિમાં નવા સમીકરણો પણ બનવાનું શરૂ થઇ ગયું છે. કારણ કે VTV પાસે સૂત્રોના માધ્યમથી એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાને BTP મેન્ડેટ આપી શકે છે. કાંધલ જાડેજા BTPના મેન્ડેટ પર ચૂંટણી લડશે. કારણ કે NCPએ કુતિયાણાથી મેન્ડેટ ન આપવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કાંધલ જાડેજાએ NCPમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરંતુ અંતે ટિકિટ ન આપતા નારાજ થયેલા કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે.
NCPએ મેન્ડેટ ન આપતા કાંધલ જાડેજા ભરી શકે છે અપક્ષ ફોર્મ!
મહત્વનું છે કે, કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ગત ચૂંટણીમાં NCPએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતુ આ વખતે NCPએ મેન્ડેટ ન આપતા કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આજ રોજ સોમવારે ફરીવાર કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરી શકે છે.
કુતિયાણા બેઠક પર 'ગોડમધર'ના પુત્રનું રાજ
સૌરાષ્ટ્રના દબંગ નેતા કાંધલ જાડેજાનો રાજકીય અને કૌટુંબિક ઈતિહાસ મોટો છે. કાંધલ જાડેજાના પિતા સરમણ મુંજા જાડેજા અને તેમના માતા સંતોકબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખૂબ મોટી નામના ધરાવે છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર હાલમાં કાંધલ જાડેજા ધારાસભ્ય છે. રાણાવાવ-કુતિયાણા બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ તેમના કાકા ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુક્યા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત 2012માં એનસીપી માંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને 18 હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.
2017માં કાંધલ જાડેજાએ 11 જેટલા ઉમેદવારોને આપ્યો હતો કારમો પરાજય
2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસપીનુ ગઠબંધન નહીં થયું હોવા છતા કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.