કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય સંકટને ધ્યાનમાં લઇને મધ્યપ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોની ત્રીજી બેઠક યોજાવા જઇ રહી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ગોવા અને કર્ણાટકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પોતાના ધારાસભ્યોને એકજૂટ રાખવા કમર કસી છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં સત્તાધારી ગઠબંધન કોંગ્રેસ અને જેડીએસના 16 ધારાસભ્ય રાજીનામાં આપી ચૂક્યાં છે, જ્યારે બે અપક્ષ ધારાસભ્યોએ સરકારને આપેલ સમર્થન પરત ખેંચી લીધું છે. જ્યારે બીજી તરફ ગોવામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે.
મધ્યપ્રદેશની વાત કરીએ તો 230 સભ્યની વિધાનસભામાં કોંગ્રેસના 114 અને ભાજપના 109 ધારાસભ્યો છે. આ સિવાસય મધ્યપ્રદેશની કમલનાથ સરકારને બસપાના બે, સપાના એક અને ચાર અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે.
સૂત્રોને મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કોંગ્રેસ તેમજ સહયોગી દળ સપા, બસપા અને અપક્ષના ધારાસભ્યો સાથેની બેઠકની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ડિનર ડિપ્લોમેસી દ્વારા બુધવારથી શરૂ થઇ રહેલા વિધાનસભા મોનસૂન સત્ર પહેલા નાણાંકીય મામલે મત વિભાજન દરમિયાન ધારાસભ્યોને એકજૂટ રાખવા અંગે રણનીતિ તૈયાર કરવામાં આવશે.