મધ્યપ્રદેશની કમલનાથ સરકાર પર સંકટના વાદળ મંડરાઇ રહ્યા છે. જો કે, મુખ્યમંત્રી કમલનાથ સતત એવું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, તેમની સરકારમાં બધુ જ બરાબર છે. ત્યારે શુક્રવારે તેમણે કહ્યું કે, અમારા જે નેતા નથી કે તે વેચાઇ જાય.
મધ્યપ્રદેશ સરકાર પર મંડરાયા આફતના વાદળ
કમલનાથે કહ્યું સરકારમાં બધુ જ યોગ્ય ચાલી રહ્યું છે
ભાજપ પર લાગ્યા હોર્સ ટ્રેડિંગના આરોપ
આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છેલ્લા બે દિવસથી ચાલી રહેલા ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ ગુરુવારની રાત સુધી રાજકીય લડાઇમાં ફેરવાઈ ગયો છે. સાંજે કોંગ્રેસના એક 'ગુમ' ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તરત જ ભાજપના બે ધારાસભ્યો સીએમ કમલનાથના સત્તાવાર નિવાસ સ્થાને પહોંચ્યા. જોકે, કમલનાથને મળવાનો આરોપ લાગનાર ભાજપના સંજય પાઠકે સ્પષ્ટતા કરી છે કે તેમની વિરુદ્ધ કાવતરું કરવામાં આવી રહ્યું છે અને તેઓ ભાજપ છોડશે નહીં.
મંત્રીએ કહ્યું કે, સિંધિયાનું અપમાન થશે તો...
આ સિવાય કમલનાથ સરકારમાં મંત્રી મહેન્દ્રસિંહ સિસોદિયાએ પણ કમલનાથ સરકારના ટેન્શનમાં વધારો કર્યો છે. સિસોદિયાએ કહ્યું કે, કમલનાથજીની સરકાર પર ત્યારે સંકટ હશ જ્યારે સરકાર અમારા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાજીની ઉપેક્ષા અથવા અનાદર કરશે અને ત્યારે જ સરકાર પર કાળા વાદળ છવાશે.
ભાજપ પર લાગ્યો હોર્સ ટ્રેડિંગનો આરોપ
મધ્યપ્રદેશમાં રાજકીય ઘમાસાણ મંગળવારથી શરૂ થયું જે બુધવારે વધુ અસરકારક બન્યું હતું. 10 ધારાસભ્યોને ગુરૂગ્રામની હોટલમાં રોકવામાં આવ્યા બાદ કમલનાથ સરકાર પર સંકટના વાદળ મંડરાવવા લાગ્યા અને મધ્યપ્રદેશમાં ઓપરેશન લોટસની ચર્ચા વધુ ઝડપી બની હતી. ત્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો.
શું છે મધ્યપ્રદેશ વિધાનસભાનું ગણિત ?
મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠક છે, 2 ધારાસભ્યોનું નિધન થતાં હાલ 228 સભ્યો છે. કોંગ્રેસની પાસે 114 ધારાસભ્ય છે. આ સિવાય 4 અપક્ષના ધારાસભ્ય, 2 બીએસપી તથા 1 એસપી ધારાસભ્યનું સમર્થન મળ્યું છે. આ રીતે કોંગ્રેસ પાસે હાલ 121 ધારાસભ્ય છે. ત્યારે ભાજપ પાસે 107 ધારાસભ્ય છે. તો બહુમતિનો આંકડો 116 છે. 10 ધારાસભ્યો પાર્ટી બદલીને ભાજપમાં સામેલ થાય તો કોંગ્રેસ સરકાર પડે અને ભાજપને બહુમતિ મળે.