મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાતાં હવે મધ્યપ્રદેશની કમલનાથ સરકારના અસ્તિત્વ સામે સંકટનાં કાળાં ડીબાંગ વાદળ ઘેરાયાં છે. આથી હવે મધ્યપ્રદેશના આ રાજકીય સંકટમાં શું શું થઇ શકે છે તેના પર સૌ કોઇની મીટ છે.
કમલનાથ સરકારના અસ્તિત્વ સામે સંકટનાં કાળાં ડીબાંગ વાદળ ઘેરાયાં
મધ્યપ્રદેશના સિંધિયા સમર્થક રર ધારાસભ્યએ રાજીનામાં આપી દીધાં છે અને તેથી હવે બોલ વિધાનસભાના સ્પીકર એન.પી. પ્રજાપતિની કોર્ટમાં છે કે જેઓ કોંગ્રેસ નેતા છે. નિયમ અનુસાર જો કોઇ સભ્ય રાજીનામું આપે તો તેનાથી વિધાનસભાના સ્પીકરને સંતોષ થવો જોઇએ.
જો તેમને સંતોષ થાય તો તેઓ રાજીનામાંનો સ્વીકાર કરી શકે છે, પરંતુ સ્પીકરને એમ લાગે કે દબાણ હેઠળ ધારાસભ્યોને રાજીનામાં અપાવ્યાં છે તો તેઓ સભ્ય સાથે વાત કરી શકે છે અને
રાજીનામાં આપનારા ધારાસભ્યોને પોતાની સમક્ષ બોલાવી શકે છે અને ત્યારબાદ જ રાજીનામાં પર આગળની કાર્યવાહી થઇ શકે છે.
બંધારણ અનુસાર વિધાનસભાના સ્પીકર રાજીનામું આપનારા ધારાસભ્યોને સંપૂર્ણ કાર્યકાળ માટે ગેરલાયક ઠેરવી શકતા નથી. તાજેતરમાં કર્ણાટકના મામલામાં સુપ્રીમ કોર્ટે જોકે ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાના પગલાંને યોગ્ય ગણ્યું હતું, પરંતુ તેમને પેટાચૂંટણી લડવાની છૂટ આપી હતી.
વર્તમાન સ્થિતિમાં મધ્યપ્રદેશના રાજ્યપાલની કોઇ સીધી ભૂમિકા નથી. જો વિધાનસભાની કુલ સભ્યસંખ્યા ર૩૦માંથી પ૦ ટકા કરતાં વધુ સભ્ય રાજીનામાં આપે તો બોલ રાજ્યપાલની કોર્ટમાં જશે અને રાજ્યપાલ આવા કિસ્સામાં ગૃહનું વિસર્જન કરીને મધ્યવર્તી ચૂંટણીની ભલામણ કરી શકે અથવા તો ખાલી બેઠકો પર પેટાચૂંટણી કરાવવા માટે ચૂંટણીપંચને ભલામણ કરી શકે.