દેશ કોરોના વાયરસ સંકટથી પસાર થઇ રહ્યો છે. દરરોજ દસ હજારથી વધારે લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે જોકે હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે છતાં દેશભરના શક્તિપીઠોમાં પ્રસિદ્ધ કામાખ્યા મંદિરમાં 500 વર્ષમાં પહેલીવાર અંબુવાચી મેળો આ વર્ષે નહીં યોજાય.
લગભગ 500 વર્ષમાં પહેલીવાર અંબુવાચી મેળો નહીં યોજાય
અંબુવાચી મેળા દરમિયાન અહીં દર વર્ષે ૧૦ લાખથી વધુ લોકો આવે છે
લોકડાઉનના કારણે આસામના શક્તિપીઠ કામાખ્યા મંદિરનો પ્રસિદ્ધ અંબુવાચી મેળો આ વર્ષે નહીં યોજાય. લગભગ 500 વર્ષમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે, જ્યારે મંદિરના સૌથી મોટા પર્વમાં કોઇ બહારના સાધક સામેલ નહીં થાય. ૨૨થી ૨૬ જૂનની વચ્ચે યોજાતા આ મેળામાં દુનિયાભરમાંથી તંત્ર સાધક, નાગા સાધુઓ, અઘોરીઓ, તાંત્રિકો અને શક્તિ સાધકો એકઠા થાય છે, પરંતુ આ વખતે કોરોના વાઇરસના કારણે આ પર્વની પરંપરાઓ જાળવવાને બદલે મંદિર પરિસરમાં ઓછા લોકોની હાજરીમાં પૂરી કરાશે.
ગુવાહાટી પ્રશાસને મંદિરની આસપાસ આવેલી હોટલો, ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસને પણ સૂચનો કર્યાં છે કે અત્યારે તેઓ કોઇ બુકિંગ ન લે. અંબુવાચી મેળો કામાખ્યા મંદિરનો સૌથી મોટો ઉત્સવ માનવામાં આવે છે. અહીં દેવીની પૂજા યોનિરૂપમાં થાય છે. એવું માનવામાં આવે છે કે, અંબુવાચી ઉત્સવ દરમિયાન માતા રજસ્વલા હોય છે. દર વર્ષે ૨૨થી ૨૫ જૂન સુધી આ માટે મંદિર બંધ રાખવામાં આવે છે. ૨૬ જૂનના રોજ શુદ્ધિકરણ બાદ તેને દર્શન માટે ખોલવામાં આવે છે.
અંબુવાચી મેળા દરમિયાન અહીં દર વર્ષે ૧૦ લાખથી વધુ લોકો આવે છે. મંદિર બંધ રહે છે, પરંતુ બહાર તંત્ર અને અઘોર ક્રિયા કરનારા સાધકો માટે આ સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. તેઓ આ સમયે સાધના કરે છે. મંદિરના મુખ્ય પુજારી મોહિત શર્માના જણાવ્યા મુજબ, પરંપરાઓ એવી જ હશે જેવી દર વખતે હોય છે, પરંતુ આ વખતે મેળો નહીં યોજાય અને બહારના લોકોને પ્રવેશ નહીં મળે.