તમે કામાખ્યા મંદિર વિશે સાંભળ્યુ હશે, માતા કામાખ્યાના મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામતી હોય છે. લૉકડાઉનમાં જ્યારે બધા મંદિરો બંધ હતા ત્યારે કામાખ્યા મંદિર પણ બંધ રહ્યું હતું. હવે ભક્તો માટે ખુશ ખબર છે કારણકે મંદિર હવે ખુલી જવાનું છે.
આ તારીખથી ખુલશે કામાખ્યા મંદિર
ભક્તોની ભીડ દર્શન માટે જામે છે
કડક નિયમો હેઠળ ખુલશે મંદિર
મહાશક્તિપીઠ કામાખ્યા મંદિરના દરવાજા 24 સપ્ટેમ્બરથી ભક્તો માટે ખૂલી રહ્યા છે. મંદિર ટ્રસ્ટે એના માટે તૈયારી શરૂ કરી દીધી છે. મંદિરમાં દર્શન માટે ખૂબ જ કડક ગાઇડલાઇન્સ નક્કી કરાઈ છે. ગુવાહાટીમાં આ સમયે કોરોનાના અનેક કેસ સામે આવી રહ્યા છે, પરંતુ મંદિર ખોલવાની માગ પણ ઘણા સમયથી ચાલી રહી છે.
પહેલાં ટ્રસ્ટે પ્રસ્તાવ જણાવ્યો હતો કે મંદિરમાં માત્ર પરિક્રમા માટે લોકોને પ્રવેશ આપવામાં આવે. 24 સપ્ટેમ્બરથી મંદિરમાં આખા દિવસમાં લગભગ 500 લોકોને પ્રવેશ મળશે. મંદિરમાં કોઈપણ વ્યક્તિ 15 મિનિટથી વધારે રહી શકશે નહીં. મંદિર ટ્રસ્ટે સરકાર દ્વારા નક્કી કરેલી ગાઇડલાઇન્સ પ્રમાણે મંદિર ખોલવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
મંદિરમાં પ્રવેશના નિયમો
મંદિરની વેબસાઇટથી દર્શન માટે ઓછામાં ઓછા એક દિવસ પહેલાં ઓનલાઇન બુકિંગ થશે.
મંદિર તરફથી દર્શન માટે સમય આપવામાં આવશે.
એક સમયે મંદિરની અંદર સો લોકોથી વધુને પ્રવેશ મળી શકશે નહીં.
દર્શન માટે તમારો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ.
મંદિરમાં કોઈપણ ભક્ત 15 મિનિટથી વધારે રોકાઈ શકશે નહીં.
કોઈપણ વિશેષ પૂજા વગેરે માટે બહારના લોકોને સામેલ કરવામાં આવશે નહીં.
મંદિરને દર બે કલાકે સેનિટાઇઝ કરવામાં આવશે.
મંદિરમાં આવતા લોકોનો રેપિડ એન્ટીજન ટેસ્ટ પણ થશે. એના માટે એક મેડિકલ ટીમ મંદિરમાં રહેશે.
દર વર્ષે જૂનમાં અંબુવાચી મેળો યોજાય છે, એ આ વખતે યોજાઈ શક્યો નથી, જેનાથી મંદિરને મળતું દાન લગભગ શૂન્ય થઈ ગયું છે. મંદિરના સફાઈકર્મચારીઓને તેમનો પૂરો પગાર આપવામાં આવી રહ્યો છે, પરંતુ જે સ્ટાફ ઘરે છે તેમને માત્ર 40 ટકા પગાર આપવામાં આવી રહ્યો છે. મંદિરમાં લગભગ 250 કર્મચારી છે.