ખેડૂત આંદોલનને હવે દેશના સંત સમાજનો સમર્થન મળવાનું શરૂ થયું છે. ટૂંકસમયમાં જ હરિદ્વારમાં યોજાનારા મહાકુંભમાં આ વાતનો ચિતાર મળી શકે છે.
કૃષિ આંદોલનને સંતોનું સમર્થન
કુંભમેળામાં આંદોલનની આપી ચેતવણી
ગાજીપુર બોર્ડર પર પહોંચ્યા હતા સંતો
કાશી સુમેરુપીઠના શંકરાચાર્ય સ્વામી નરેંદ્રાનંદ સરસ્વતી સોમવારે ઘણા અગ્રણી સંતો સાથે ગાજીપુર બોર્ડરે પહોંચ્યા હતા અને ખેડૂત આંદોલનને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ બાબતનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ કેમ કે દેશના અન્નદાતાઓ રસ્તાઓ પર રહે છે, આ સ્થિતિ દેશ માટે યોગ્ય નથી. કલ્કિ પીઠધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર આ મામલાનો જલ્દી કોઈ સમાધાન નહી લાવે તો દેશનો સંત સમાજ પણ કુંભમેળા દરમિયાન આંદોલનનું સમર્થન કરી આંદોલન કરવાનું નિર્ણય કરી શકે છે.
પીએમ મોદી સ્પષ્ટ કરે તેઓ કોની સાથે વાત કરવા માંગે છે, ખેડૂતો સાથે કે ખલિસ્તાનીઓ સાથે? : આચાર્ય કૃષ્ણમ
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે ભાજપના કેટલાક નેતાઓ ખેડૂતોને ખાલિસ્તાની અને પાકિસ્તાની ગણાવી રહ્યા છે. તે જ સમયે, દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ખેડૂતો સાથે વાતચીત કરવાની વાત કહી રહ્યા છે. તેથી, વડા પ્રધાને સૌ પ્રથમ તે જણાવવું જોઈએ કે તેઓ કોની સાથે વાત કરવા માગે છે - ખેડૂતો સાથે અથવા ખાલિસ્તાનીઓ સાથે.
તેમણે કહ્યું કે દેશ પર કોઈપણ સંકટ સમયે સંત સમાજ સક્રિય ભૂમિકા નિભાવી રહ્યો છે. આજે દેશના ખેડૂતો પર મોટું સંકટ છે, જેના પર સંત સમાજ મૌન રહી શકતો નથી.કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે આ ભાજપ સરકારે હજારો જુના કાયદાઓને રદ કરવાનું કામ કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આને તેમની સરકારની સિદ્ધિ ગણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેઓએ સમજાવવું જોઈએ કે તેઓ ત્રણેય વિવાદિત કૃષિ કાયદા કેમ પાછા નથી ખેંચી રહ્યા. ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે દેશના ખેડૂત આ કાયદાને લાગુ ન કરવા માટે ચાર મહિનાથી સતત રસ્તાઓ પર સંઘર્ષ કરી રહ્યા છે.
2019માં કોંગ્રેસ તરફથી લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે આચાર્ય કૃષ્ણમ
મહત્વનું છે કે કલ્કિ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે 2019ની લોકસભાની ચૂંટણીમાં લખનૌથી ભાજપના નેતા અને હાલમાં દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહ સામે ચૂંટણી લડી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ત્રીજા સ્થાને 1.80 લાખ મતો મેળવ્યા હતા.
સંતોએ સોમવારે ગાજીપુર બોર્ડર પર ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતનું સન્માન કર્યું હતું. તેમને ગદા આપીને પણ આંદોલનમાં જોરદાર લડતનો ઇશારો કર્યો. આ પ્રસંગે સ્વામી નવીનાનંદે પ્રસ્તાવના વાંચી અને યોગી રાકેશનાથે માંગણીપત્ર વાંચીને કેન્દ્રને સંદેશ આપ્યો.