લગ્નની નોંધણી વખતે માતા પિતાની સહી ફરજિયાત કરવા સરકારને કરાશે રજૂઆત
ચોરાસી પાટીદાર સમાજ દ્વારા પ્રેમ લગ્ન કરતી દિકરીઓ વિરુદ્ધ આકરા પગલા લેવાની તૈયારી બતાવી છે. દીકરી ભાગી લગ્ન કરે ત્યારે નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા સરકારને રજૂઆત કરવામાં આવશે. મહેસાણામાં ચોરાસી પાટીદાર સમાજ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે ચોરાસી કડવા પાટીદારો કાયદો બનાવવા માટે લડત પણ ચલાવશે.
પ્રેમલગ્નની વિરુદ્ધ પાટીદાર સમાજ
મહેસાણામાં ચોરાસી કડવા પાટીદાર સમાજ સંકુલ ખાતે રવિવારે સમાજના પ્રમુખ જશુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને સમાજની કારોબારી સભા મળી હતી. જેમાં માતા પિતાની સંમતિ વિના લગ્ન કરીને ભાગી જતી દિકરીઓ માટે કાયદો બનાવવો. જો માતા પિતા સહીની સંમતિ ન આપે તો મિલકતમાંથી નામ નીકળી જાય તેવો કાયદો બનાવવા અંગે સરકારને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે કારોબારી સભામાં પૂર્વ પ્રમુખ ડી.એમ.પટેલ, લાલભાઇ પટેલ, તમામ તાલુકા પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
અગાઉ SPG પણ આ પ્રકારની કરી ચૂક્યુ છે માંગ
આ પ્રસંગે સમાજના પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું હતું કે દરેક સમાજમાં દીકરીઓ ભાગીને લગ્ન કરવાની ઘટનાઓ બને છે. જે ચિંતાજનક બાબત છે. આ મુદ્દે આગામી સમયમાં અન્ય સમાજોને પણ સાથે રાખી સંમેલન બોલાવીશું અને સરકારમાં ભાગીને લગ્ન કરતી દીકરીની લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવી અને તેને નકારવામાં આવે તો આવી દીકરીનો હિસ્સો માતા-પિતાની મિલકતમાંથી આપોઆપ નીકળી જાય તેવો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરાશે. મહત્વનું છે કે આ પ્રકારની માગ અગાઉ SPG દ્વારા પણ કરવામાં આવી હતી. તેઓએ પણ લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા માંગ કરી હતી.