સુરતના વરેલી નજીક વિવા પેકેજીંગ કંપનીમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જોકે આગના કારણે બે કામદારના મૃત્યુ થયા છે, 15થી વધુ કામદારો દાઝ્યા છે.
સુરતના કડોદરા GIDCમાં આવેલી વિવા પેકેજીંગ કંપનીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ કંપનીમાં 300 જેટલા લોકો કામ કરતા હતા. આગના કારણે કંપનીમાં ભાગદોડ મચી હતી. લોકોએ જીવ બચાવવા આમતેમ દોડાદોડી કરી મૂકી હતી. આ આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી. તો ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108ને પણ બોલાવી લેવાઇ હતી.
સુરતના વરેલીમાં લાગેલી આગ મામલે પ્રત્યક્ષદર્શી 108ના કર્મી જય રાવલે નિવેદન આપ્યું હતું. જય રાવલે કહ્યું કે, ઘટના સ્થળે પહોંચતાં લોકોને ઈમારત પરથી કુદતા જોયા હતા. નીચે આગ લાગી હતી ઉપર માણસો દેખાઈ રહ્યા હતા. માણસો વધુ ફસાયા હતા એટલે અમે વધુ 10થી 15 જેટલી 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. 40 લોકોને 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગ સમયસર ન પહોંચી હોત તો બહુ જ મોટી દુર્ઘટના બની હોત. જીવ બચાવવા લોકો કૂદ્યા હતા, જેને લઇને કેટલાક લોકો હાથપગ પર વાગ્યું પણ છે. 30 મિનિટની અંદર ફાયર વિભાગે આગ પર કંટ્રોલ મેળવી લીધો હતો.
સુરતના વરેલીમાં લાગેલી આગ મામલે 108ના કર્મી જય રાવલે નિવેદન આપ્યું હતું. જય રાવલે કહ્યું કે, ઘટના સ્થળે પહોંચતાં લોકોને ઈમારત પરથી કુદતા જોયા હતા. નીચે આગ લાગી હતી ઉપર માણસો દેખાઈ રહ્યા હતા. માણસો વધુ ફસાયા હતા એટલે અમે વધુ 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. #Suratfirepic.twitter.com/xa2vPRP5Yx
10 જેટલી ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. તો અત્યાર સુધીમાં 125 લોકોનું હાઇડ્રોલિક ક્રેન દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આગ પર કાબૂ મેળવાયા બાદ ફાયર વિભાગ દ્વારા મિલના બેઝમેન્ટમાં કુલિંગની કામગીરી કરવામાં આવી હતી.
ફાયર વિભાગ દ્વારા કંપનીની દીવાલ તોડવામાં આવી
મહત્વનું છે કે વિશાળ કંપની હોવા છતાં એક જ એક્ઝિટ પોઇન્ટ હોવાનું સામે આવ્યું છે. કામદારોના જીવ બચાવવા ફાયર વિભાગ દ્વારા કંપનીની દીવાલ તોડવામાં આવી હતી. આ આગ અંગે ચીફ ફાયર ઓફિસરે કહ્યું કે, આગની ગંભીરતા જોતા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. ફાયર સેફ્ટીના અભાવે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. ઈમારતમાં કોઈ જ પ્રકાર ફાયર સેફ્ટીના સાધનો ન હતા.
આગના કારણે બે કામદારના મૃત્યુ થયા છે. હાલ વિવા કંપનીમાંથી રેસ્ક્યૂ કરાયેલા 54 લોકોને સ્મિમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તો 54માંથી 15 લોકો દાઝ્યા છે, જેમાં 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઇજાગ્રસ્ત કામદારોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો આ આગની ઘટનામાં 125 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.