મહીસાગર જિલ્લા અને તેના ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે કડાણા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેના કારણે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણ ડેમના હજુ પણ 8 ગેટ ખોલવામાં આવ્યું છે. આ 8 ગેટને 5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યું છે.
જ્યારે મહીસાગર નદીમાં 86 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની જળસપાટી 414 ફૂટે પહોંચી છે. જ્યારે ભયજનક સપાટી 419 ફૂટ છે. તો બીજી તરફ મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. જેથી નદી કિનારાના ગામડાઓને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને લોકોને નદી કિનારે ન જવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.
કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વણાકબોરી ડેમ ઓવરફ્લો
કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો છે. વણાકબોરી ડેમની સપાટી 230 ફૂટ પર પહોંચી છે. હાલ વણાકબોરી ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે.. મહીસાગર નદીની સપાટી સતત વધી રહી છે. ત્યારે પાણીની આવક થતા નીચાણવાળા ગામોમાં એલર્ટ આપી દેવાયું છે. ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ગામોમાં એલર્ટ આપી દેવાયું છે.
જ્યારે ઉકાઇ ડેમની સપાટી રુલ લેવલે પહોંચી છે. ઉપરવાસમાં વરસાદ બંધ થતા હાલ આવકમાં ઘટાડો થયો. ઉપરવાસમાં વરસાદ બંધ થતા પણીની આવકમાં ઘટાડો થતા હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવક 55 હજાર 305 કયુસેક છે. ઉકાઇ ડેમની સપાટી 335.38 ફૂટ પર પહોંચી છે.
દાંતીવાડા ડેમની જળસપાટી 554.25 ફૂટે પહોંચી
બનાસકાંઠા અને રાજસ્થાનના સિરોહી તેમજ આસપાસના જિલ્લાઓમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠાના તમામ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડા ડેમની જળસપાટી 554.25 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે.
ડેમમાં 872 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે બીજી તરફ સીપુ ડેમની જળસપાટી પણ 579.72 ફૂટે પહોંચી છે. સીપુ ડેમની ભયજનક સપાટી 611 ફૂટ છે. જો હજુ પણ ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહેશે તો બન્ને ડેમની જળસપાટીમાં વધારો થઈ શકે છે. ડેમમાંથી પાણી છોડવાની પણ ફરજ પડી શકે છે.