કડાણા ડેમમાંથી મહીસાગર નદીમા પાણી છોડવામાં આવ્યું છે. 2.50 લાખ કયુસેક પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી બે કાંઠે થતા ગળતેશ્વર બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. વડોદરા અને મહીસાગર જિલ્લાને આ બ્રિજ જોડે છે. જેને બંધ કરી દેવામાં આવતા બન્ને ગામ સંપર્કવિહોણા બન્યાં છે. જો કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ બ્રીજ બંધ કર્યો છે.
મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો હતો. કડાણા ડેમમાં પાણીની આવક 2 લાખ 57 હજાર 654 ક્યુસેક થઇ હતી. કડાણા ડેમની સપાટી 414.6 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં પાણીની આવકથી ડેમના ગેટ ખોલી દેવાયા છે.
કડાણા ડેમના 9 દરવાજા 10 ફૂટ ખોલાયા છે. જ્યારે 7 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમમાંથી 2 લાખ 55 હજાર 131 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જ્યારે રાજ્યની જીવા દોરી સમાન નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 133.80 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 5 લાખ 55 હજાર 21 ક્યુસેક પાણીની આવક થઇ છે જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે.
જળસપાટી વધતા નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે 4 લાખ 4 હજાર 900 ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. જેથી નર્મદા અને ભરૂચના કાંઠાના 40 જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે મહીસાગરના કડાણા ડેમના વધુ 6 ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. પાણીની આવક વધતાં ડેમના 12 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં હતા. ડેમમાંથી મહી નદીમાં 1 લાખ 24 હજાર 964 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉપરવાસમાંથી કડાણા ડેમમાં 74 હજાર 547 ક્યુસેક પાણીની આવક થઇ હતી. ડેમનું જળસ્તર 415.8 ફૂટ પહોચ્યું હતું. જયારે આ ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે.