મહીસાગરમા ધોધમાર વરસાદ પડતા નદીઓમાં નવા નીર આવ્યાં છે. ભારે વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા જળસપાટીમાં વધારો થયો છે. કડાણા ડેમમાં ભયજનક સપાટીએ પહોંચતા ડેમના વધુ દરવાજા ખોલવાની ફરજ પડી છે.
મહીસાગરમાં કડાણા ડેમના વધુ બે ગેટ ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. હાલ ડેમની સપાટી 416.11 ફૂટ પર પહોંચી છે. જોકે પાણીની આવક વધતા ડેમના 8 ગેટ 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. કડાણા ડેમમાંથી 88 હજાર 512 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું. ડેમમાં જળસ્તર વધતા રાત્રી દરમ્યાન વધારે પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવશે. રાજસ્થાનમાં આવેલ મહી બજાજ ડેમમાંથી 18 હજાર 257 ક્યુસેક પાણી કડાણાં ડેમમાં છોડાયું. આથી સલામતીના ભાગરૂપે જિલ્લાના મુખ્ય માર્ગોના ત્રણ પુલ પર અવરજવર બંધ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, સવારે તમામ ગેટ બંધ કરી દીધા બાદ ફરી ગેટ ખોલવાની ફરજ પડી છે. રુલ લેવલ મેનેજ કરવા માટે પાણી છોડાઇ રહ્યું છે. પહેલા ડેમના 3 ગેટ ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ પાણીની આવક થતા બાદમાં ડેમના 6 ગેટ 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા. કડાણા ડેમમાંથી 71 હજાર 936 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું હતું. જ્યારે 21 હજાર 200 ક્યુસેક પાણી પાવર હાઉસ દ્વારા મહી નદીમાં છોડવામાં આવ્યું હતું. જ્યારે હવે મહીસાગર નદી ભયજનક સપાટીએ પહોંચતા 8 ગેટ ખોલવામાં આવ્યા છે.
રેસ્ક્યુની સાધન-સામગ્રી સાથે NDRFની ટીમ તૈનાત
મહીસાગરના લુણાવાડામાં NDRFની ટીમ તૈનાત કરાઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદની સ્થિતિને પગલે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. 3 રેસ્ક્યુ બોટ સાથે ટીમ તૈનાત કરાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી કડાણા ડેમમાં જળસ્તર સતત વધી રહ્યુ છે. કડાણા ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે. કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાઈ રહ્યુ છે. મહી નદીમાં પાણી છોડાતા નદી બંને કાંઠે વહી રહી છે. જેને લઈને નદી કિનારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. તેમજ એલર્ટને પગલે NDRFની ટીમને રેસ્ક્યુની સાધન-સામગ્રી સાથે તૈનાત કરવામાં આવી છે.