ભુજ સહજાનંદ કોલેજ વિવાદના મામલે કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ રાજીનામું આપ્યુ છે. ઈન્ચાર્જ કુલપતિ દર્શનાબેન ધોળકીયાએ રાજીનામુ આપ્યું છે. દર્શનાબેન ધોળકીયાનુ રાજીનામુ સ્વીકારવામાં આવ્યું નથી.
ભુજ સહજાનંદ કોલેજ વિવાદ મામલો
કચ્છ યુનિના ઇન્ચાર્જ કુલપતિનું રાજીનામું
દર્શનાબેન ધોળકીયાનુ રાજીનામુ ન સ્વીકારાયું
ભુજની સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલમાં જે દીકરીઓના કપડા ઉતરાવી તેમના માસિકધર્મનું ચેકિંગ થયું હતું. આ મામલે સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો આ શરમજનક ઘટનાના પગલે મહિલા આયોગની ટીમે પણ તપાસ કરી હતી. ત્યારે હવે કચ્છ યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિ દર્શનાબેન ધોળકીયાએ રાજીનામું આપ્યું છે. જોકે તેમનું રાજીનામું સ્વીકારાયું નથી.
શું છે સમગ્ર મામલો ?
રાજ્ય શિક્ષણ જગતને કલંક લગાવતો મામલો સામે આવ્યો છે. સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી છે. વિદ્યાર્થિનીઓની તપાસ કરાતા તેમણે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ માંગણી કરી હતી કે તેમની સામે ગેરવર્તણૂંક કરનાર સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની સંચાલકોએ ધમકી આપી છે. બેજવાબદાર બનેલા સંચાલકોએ ચીમકી આપી છે કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવતી રહેશે. જો કોઈને મંજૂર ન હોય તો કોલેજ કે હોસ્ટેલ છોડીને જતાં રહે. માસિક ધર્મની તપાસથી વિદ્યાર્થિનીઓ નારાજ વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ માસિક ધર્મને લઈને પૂછપરછ કર્યા બાદ એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરાઈ હતી.
SITની ટીમની કરાઇ રચના
ભુજની સહજાનંદ કોલેજના વિવાદને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આજે રાષ્ટ્રીય આયોગની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવશે. જિલ્લાના DySPની આગેવાનીમાં SITની ટીમની રચના કરાઈ છે. ત્યારે હવે SITની ટીમે કોલેજમાં પહોંચીને વિદ્યાર્થિનીઓના નિવેદન લીધા હતા. કોલેજ પરિસરના CCTV સહિતના મુદ્દાઓને લઈને પણ તપાસ કરવામાં આવી હતી.
હોસ્ટેલમાં દીકરીઓને અલગ રૂમમાં પુરાઇ રહેવું પડે છેઃ મહિલા આયોગ
ભુજની સહજાનંદ કોલેજની શર્મસાર કરતી ઘટના મામલે રાષ્ટ્રીય મહિલા અયોગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે દેશમાં આવી ઘટના ન બને તે માટે રાષ્ટ્રીય નીતિ ઘડવામાં આવશે. રાષ્ટ્રીય મહિલા આયોગની તપાસ બાદ નિર્ણય લેવાયો છે. મહિલા આયોગે કહ્યું કે હોસ્ટેલમાં દીકરીઓને અલગ રૂમમાં પુરાઇ રહેવું પડે છે. UGCની ગાઈડલાઈનનો પણ ભંગ થયો છે. તો ઋતુ ધર્મમાં આવતી દીકરીઓની નોંધવાળા રજીસ્ટર શોધવા દોડધામ મચી છે. સાથે જ કચ્છ યુનિવર્સિટીના અને ટ્રસ્ટી મંડળના સભ્યોની પૂછપરછ કરાઇ છે.
રૂઢિગત નિયમો બદલવાની ખાતરી
આ ઉપરાંત સંસ્થાના રૂઢિગત નિયમોમાં પરિવર્તન લાવવામાં આવશે. રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલાબેન દેસાઈએ રેન્જ IG સુભાષ ત્રિવેદી અને ઇન્ચાર્જ એસપી દેસાઈ સાથે બેઠક યોજી હતી. મહિલા આયોગે તટસ્થ તપાસની ખાતરી સાથે દીકરીઓને ન્યાય મળશે તેવી વાત ઉચ્ચારી છે. ઉપરાંત સંસ્થાના માસિક ધર્મના નિયમો અંગે ચર્ચા થઈ હતી. ભારે વિવાદ બાદ ટ્રસ્ટી મંડળે માસિક દરમિયાન ત્રણ દિવસના રૂઢિગત નિયમો બદલવાની ખાતરી આપી છે. ટ્રસ્ટીઓના બેવડા વલણથી અનેક તર્ક વિતર્કો ફેલાયા છે.
પ્રિન્સીપાલે સ્વીકાર્યું છે, અમારી ભૂલ થઈ છેઃ ટ્રસ્ટી
ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં વિવાદ સામે આવતા હવે ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. બેઠક બાદ સંસ્થામાં આ પ્રકારનું નિંદનીય કૃત્ય થયુ હોવાનું સ્વીકારવામાં આવ્યુ. આ બેઠક બાદ ટ્રસ્ટી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, પ્રિન્સીપાસે ભૂલ સ્વીકારી છે, અને આ મામલે તેમણે માફી પણ માગી હતી. આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. ટ્રસ્ટીઓએ જવાબદારો સામે પગલા લેવાની ખાતરી આપી હતી. વિદ્યાર્થિનીઓ અને વાલીઓને સાથે રાખીને કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.
4 આરોપીઓની ધરપકડ
આ વિવાદ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આ ચારેય આરોપીના ભુજ કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. કોલેજમાં છાત્રાઓના માસિકધર્મ સમયે ભોયરામાં રાખવા આવતી હોવાના ખુલાસા પણ થયા છે.