કે. એલ. રાહુલે પહેલી વાર કોઈ આંતરરાષ્ટ્રીય T-20 શ્રેણીમાં ભારત તરફથી વિકેટકીપર તરીકે જવાબદારી સંભાળી. તેણે પોતાની પ્રથમ જ શ્રેણીમાં ઇતિહાસ રચી દીધો. ન્યૂઝીલેન્ડ સામે જ્યારે વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટે તેનામાં વિશ્વાસ વ્યક્ત કરીને વિકેટકીપર તરીકેની જવાબદારી સોંપી હતી ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે રાહુલ એ કામ કરશે, જે ભારતના કોઈ વિકેટકીપરે અત્યાર સુધી કર્યું નથી, પરંતુ રાહુલે એ કરી દેખાડ્યું અને ન્યૂઝીલેન્ડની ધરતી પર શાનદાર પ્રદર્શન કરીને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીતી લીધો.
મહેન્દ્રસિંહ ધોની ની ગણના ભારતના મહાન વિકેટકીપર તરીકે થાય છે, પરંતુ તે પણ ક્યારેય વિકેટકીપર તરીકે ટી-૨૦ શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીતી શક્યો નથી, પરંતુ કે. એલ. રાહુલે પોતાની પ્રથમ જ આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીતવાનું ગૌરવ હાંસલ કર્યું.
રાહુલ ભારતનો એવો પ્રથમ વિકેટકીપર બની ગયો છે, જેણે T-20 શ્રેણીમાં આ ખિતાબ પોતાના નામે કર્યો. એ ઉપરાંત રાહુલ પ્રથમ એવો ખેલાડી પણ બની ગયો, જેણે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડની ધરતી પર પહેલી વાર પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો.
કેમ K L રાહુલ માટે આ શ્રેણી શ્રેષ્ઠ હતી?
સમગ્ર શ્રેણી દરમિયાન રાહુલની બેટિંગની જેટલી પ્રશંસા કરવામાં આવે એ ઓછી જ છે. પાંચ મેચમાં તેણે ૫૬ રનની શાનદાર સરેરાશથી કુલ ૨૨૪ રન બનાવ્યા, બે અર્ધસદી પણ સામેલ છે. આ ઉપરાંત તેણે વિકેટની પાછળ ચાર શિકાર કર્યા, જેમાં ત્રણ કેચ અને એક સ્ટમ્પિંગ સામેલ છે. રાહુલે આ સમગ્ર શ્રેણી દરમિયાન બેવડી જવાબદારી શાનદાર રીતે સંભાળીને ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.