ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી કથિત રીતે 'ભાજપ' શબ્દ હટાવી દીધો છે. તેની જગ્યાએ જનતા નો સેવક અને ક્રિકેટ પ્રેમી લખ્યું છે. ત્યાર બાદથી રાજકીય અટકળો તેજ થઇ ગયેલી જોવા મળી છે. કેટલાંક લોકોનું કહેવું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેના પ્રોફાઇલમાં ક્યારે પણ 'ભાજપ' જોડ્યું નહોતું. જો કે હજુ આ મામલે ભાજપ કે જ્યોતિરાદિત્ય સિંધિયા તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.
18 વર્ષ સુધી કોંગ્રેસમાં સાથે રહ્યાં બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ હોળીના દિવસ ભાજપનો કેસરિયો પહેર્યો હતો. ભાજપમાં જોડાયાં બાદ તેમના સમર્થકોને શિવરાજસિંહના મંત્રીમંડળમાં સામેલ કરવા તેમજ સિંધિયાને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બનાવવાની ચર્ચા તેજ બની હતી. પરંતુ હવે ખબર આવી રહી છે કે તેમના સમર્થક પૂર્વ ધારાસભ્યોને પેટાચૂંટણીમાં ટિકિટ મળવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે.
પેટાચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું
શિવરાજસિંહ ચૌહાણની કેબિનેટને લઇને ઘણી વખત સંભવિત તારીખની અનૌપચારિક જાહેરાત કરવામાં આવી. પ્રદેશ સંગઠનની સાથે મુખ્યમંત્રીએ સંભવિત મંત્રીઓની યાદી તૈયાર કરી, જે મીડિયમાં લીક થઇ ગઇ પરંતું કેબિનેટ વિસ્તાર થઇ શક્યો નહીં. તો બીજી તરફ કેન્દ્રની કેબિનેટમાં સિંધિયાને સામેલ કરવાની ચર્ચા પણ હવે ઓછી સંભળાઇ રહી છે.
પેટાચૂંટણીમાં ટિકિટને લઇને પરેશાની
ભાજપે પેટાચૂંટણીમાં સિંધિયા સર્મથક બધા 22 ધારાસભ્યોને ટિકિટ આપવાનું વચન આપ્યું પરંતુ તેમાં હવે મુશ્કેલી જોવા મળી રહી છે. કેટલીક બેઠકો પર પોતાના જૂના નેતાઓનો બળવો જોવા મળી રહ્યો છે. જો કે બીજી તરફ સિંધિયા અથવા તેમના સમર્થકો તરફથી હજુ સુધી આ મામલે કોઇ અસંતોષને લઇને ખબર સામે આવી નથી.
જો ટ્વિટર પ્રોફાઇલમાંથી ભાજપા હટાવાનો દાવો સાચો હોય તો સિંધિયાનો રાજકીય દબાવ માની શકાય છે. ખાસ એટલા માટે કે જ્યારે સિંધિયાએ કોંગ્રેસને છોડી તે પહેલાં પણ તેણે પોતાની પ્રોફાઇલમાંથી પાર્ટીનું નામ હટાવી દીધું હતું.