મધ્યપ્રદેશની પેટા-ચૂંટણીઓના પગલે નેતાઓ આવવાનું યથાવત છે. જાહેર સભામાં તેમના પક્ષને ટેકો આપવા તેઓ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી રહી છે. આવી જ એક જાહેર સભામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાંગરો વાટ્યો હતો અને ભાજપને બદલે કોંગ્રેસ માટે મત માંગ્યા હતા. જો કે, તરત જ તેને તેની ભૂલનો અહેસાસ થયો. જે બાદ તેમણે માત્ર ભાજપના પક્ષમાં મત આપવાની અપીલ કરી હતી.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રચારમાં ભાંગરો વાટ્યો
પ્રચારમાં સિંધિયા કોંગ્રેસ માટે મત માગવા લાગ્યા
કોંગ્રેસના નિશાનનું બટન દબાવવા અપીલ કરી
ઉલ્લેખનીય છે કે, સિંધિયા શનિવારે ડબરામાં ભાજપના ઉમેદવાર ઇમરાતી દેવીના સમર્થનમાં યોજાયેલી સભામાં ભાષણ આપી રહ્યા હતા. આ સમય દરમિયાન, તેની જીભ લપસી ગઈ અને તેના મોઢામાંથી બહાર આવ્યું હતું કે, '3 તારીખે પંજાવાળુ બટન દબાવવામાં આવે'. સિંધિયાએ કહ્યું, 'મારા ડાબરાના લોકો, મારા ભવ્ય અને જીવંત ડબરાના લોકો ... મૂઠ્ઠી બંધ કરીને અને મને ખાતરી આપો કે 3 તારીખે પંજાનું બટન દબાવશે.
હા, હું એક કૂતરો છું, જે હંમેશાં તેના માલિકો પ્રત્યે વફાદાર રહે છે : સિંધિયા
ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ શનિવારે કોંગ્રેસના નેતા કમલનાથ પર ચૂંટણી રેલીમાં તેમને કૂતરો ગણાવવાનો આરોપ લગાવ્યો હતો. કમલનાથને જવાબ આપતાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે હા, હું એક કૂતરો છું, જે હંમેશાં તેના માલિકો પ્રત્યે વફાદાર રહે છે.
તેઓ કહે છે કે હું એક કૂતરો છું. સાંભળો કમલનાથજી. હું એક કૂતરો છું કારણ કે મારા માલિક મારી પ્રજા છે. હું એક કૂતરો છું, કારણ કે કૂતરો તેના માલિકનું રક્ષણ કરે છે.જો કોઈ પણ વ્યક્તિ મારા માલિકને હેરાન કરે છે અને માલિક સાથે ભ્રષ્ટાચાર અને વિનાશક નીતિઓ આચરે છે, તો કૂતરો તેને બચકું ભરશે. મને ગર્વ છે કે હું મારો પ્રજાનો કૂતરો છું.
3 નવેમ્બરે છે ચૂંટણી
માર્ચ 2020માં કમલનાથ સરકારના પતનનું સૌથી મોટું કારણ જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનું હતું. સિંધિયાની સાથે તેમના સમર્થક ધારાસભ્યોએ પણ ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ ભાજપમાં જોડાયા.
આ રીતે વિધાનસભાની એક પછી એક 25 બેઠકો ખાલી થઇ ગઈ અને ધારાસભ્યોના નિધનને કારણે 3 બેઠકો ખાલી પડી હતી. પરિણામે, મધ્યપ્રદેશની 28 બેઠકો પર પેટા ચુંટણી યોજાઈ રહી છે. પેટા ચૂંટણી માટે મતદાન 3 નવેમ્બરના રોજ થનાર છે.
સિંધિયામાં હજીપણ ધબકી રહ્યો છે કોંગ્રેસ પ્રેમ
તાજેતરમાં જ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાનારા જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના કોંગ્રેસ પ્રેમને ભૂલી શક્યા નથી. તેઓ જે સભામાં કમલનાથ પર આકરા પ્રહાર કરી રહ્યા હતા તેજ સ્ટેજ પરથી તેમણે ભૂલથી કોંગ્રેસ માટે મત માગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.