મધ્યપ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના પૂર્વ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગી અંગે અટકળો સતત જારી છે. આજે સિંધિયાએ તેમના અધિકૃત ટ્વીટર એકાઉન્ટમાંથી પોતાનો 'કોંગ્રેસી પરિચય' હટાવી દેતાં ખળભળાટ મચી ગયો છે. પોતાના નવા બાયોમાં સિંધિયાએ ખુદને ફક્ત લોકસેવક (પબ્લિક સર્વન્ટ) અને ક્રિકેટપ્રેમી (ક્રિકેટ ઇનથ્યૂઝિઅસ્ટ) ગણાવ્યા છે.
વધુ એક કોંગ્રેસી નેતા હાઇ કમાન્ડથી નારાજ
કોંગ્રેસના પૂર્વ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટર પરથી પરિચય હટાવ્યો
આ અગાઉ સિંધિયાની ટ્વીટર પ્રોફાઈલમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ સાંસદ લખવામાં આવ્યું હતું. હવે જ્યોતિરાદિત્ય સિંધિયાની ટ્વીટર પ્રોફાઇલ ઓચિંતી બદલવાથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે તેમણે આખરે આવું કેમ કર્યું? સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાની ટ્વીટર પ્રોફાઈલમાં ક્યાંય પણ કોંગ્રેસ પાર્ટીનો ઉલ્લેખ સુધ્ધાં નથી.
કમલનાથ અને સિંધિયા વચ્ચેના વિખવાદના ફેલાયા હતા સમાચાર
ઉલ્લેખનીય છે કે એવી અટકળો ચાલી રહી હતી કે લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ સિંધિયા કોંગ્રેસમાં સતત ઉપેક્ષાનો સામનો કરી રહ્યા છે. ઓગસ્ટમાં સિંધિયાની નારાજગી અને તેમના સમર્થનમાં કાર્યકરોના રાજીનામાની ધમકી વચ્ચે સીએમ કમલનાથ ખુદ સોનિયા ગાંધીને મળવા દિલ્હી ગયા હતા. બેઠક બાદ કમલનાથે દાવો કર્યો હતો કે, 'બધું સરખું છે'.
સિંધિયાને મધ્યપ્રદેશના અધ્યક્ષ બનાવવાની થઇ હતી માગ
સિંધિયાને મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની માગ તેમના સમર્થક મંત્રી સમયાંતરે કરતા રહ્યા છે. સિંધિયાના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બનાવવાની અટકળો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પણ થઇ હતી. તે કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. જો કે, ત્યારબાદ મુખ્યમંત્રી કમલનાથ પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જો કે, ત્યારબાદ સિંધિયાને અધ્યક્ષ બનાવવાનો નિર્ણય મુલતવી રખાયો હતો.
આર્ટિકલ 370 દૂર કરવા મુદ્દે કેન્દ્ર સરકારના કર્યા હતા વખાણ
આ સિવાય સિંધિયાએ કશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાના કેંન્દ્ર સરકારના પગલાનું પણ સમર્થન કરતું ટ્વીટ કર્યું હતું, જેના પર બહુ રાજકીય હોબાળો પણ થયો હતો.