રાજકારણ અને અંડરવર્લ્ડની બહુ રસપ્રદ સરખામણી જાણીતા ફિલ્મમેકર રામગોપાલ વર્માએ એક વખત રજૂ કરી હતી. તેમના કહેવા પ્રમાણે તેમનો અનુભવ બયાન કરે છે કે ભારતીય રાજકારણ અને અંડરવર્લ્ડ બંનેમાં દોસ્તી કે દુશ્મની કશું જ કાયમી નથી હોતું. વફાદારી પણ સમય અને સંજોગ જોઈને બદલાતી રહે છે અને તેની પાછળ સૌથી વધુ મજબૂત પરિબળ જો કોઈ હોય તો તે છે સ્વાર્થનાં સમીકરણ. વર્માની આ સરખામણી કદાચ અતિશયોક્તિસભર લાગે, પરંતુ તે સાવ ખોટી તો નથી જ. હોળીના તહેવારના ટાણે જ મધ્યપ્રદેશમાં જે રાજકીય હોળી સળગી અને તેમાં જે રંગ દેખાયા તે આ વાતની સાબિતી આપે છે કે હકીકતમાં રાજકારણમાં કશું જ કાયમી હોતું નથી.
MP વિધાનસભાની ચૂંટણીમાં સિંધિયાનો બહુ મોટો રોલ હતો
કમલનાથ અને સિંધિયા વચ્ચેના મતભેદ વધુ ને વધુ ઉગ્ર બનતા ગયા
સિંધિયાને સમજવામાં કોંગ્રેસની ટોચની નેતાગીરી પણ માર ખાઈ ગઈ
મધ્યપ્રદેશની રાજનીતિનો ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે આ હંમેશાં ભારતનું એક એવું રાજ્ય રહ્યું છે, જેમાં શાસક પક્ષનો આંતરિક વિખવાદ અને મતભેદ જ રાજકીય અશાંતિનું મુખ્ય કારણ રહ્યું છે. વિપક્ષે તો બસ અહીં ખાલી ચિનગારીને થોડી હવા આપવાનું કામ કરવાનું રહે છે અને પછી તો હોળી એની મેળે સળગવા માંડે છે.
વર્તમાનમાં મળેલાં કડવાં પરિણામનાં મૂળિયાં હંમેશાં ભૂતકાળની ભૂલોમાં જ રોપાયેલાં હોય છે. કોંગ્રેસને યુવા અને તેજતર્રાર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ગુમાવવા પડ્યા તેની પાછળ પણ આવી જ કેટલીક ભૂલો જવાબદાર છે. સામાન્ય માણસ પણ લાંબા સમય સુધી પોતાની અવગણના સાંખી લેતો નથી ત્યારે સિંધિયા તો રાજ પરિવારમાંથી આવતા અને રાજકારણના પાઠ ગળથૂથીમાં ભણીને આવેલા હોનહાર નેતા છે. તેમની સદંતર થઈ રહેલી અવગણનાનું આ પરિણામ આવશે તે તો નિશ્ચિત જ હતું.
નવેમ્બર-૨૦૧૮માં જ્યારે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ૧૫ વર્ષના લાંબા વનવાસ બાદ કોંગ્રેસની જીત થઈ ત્યારે જ આ કડવાશ અને હાઈ પ્રોફાઈલ પોલિટિકલ ડ્રામાનાં બીજ રોપાઈ ગયાં હતાં. લાંબા સમયથી મૂર્છિત અવસ્થામાં રહેલી કોંગ્રેસને બેઠી કરવામાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો બહુ મોટો રોલ રહ્યો હતો. ભોપાલ ખાતે યોજાયેલા મુખ્યપ્રધાન કમલનાથના શપથગ્રહણ સમારોહમાં સિંધિયા સૌથી આગળ રહીને સૂત્રોચ્ચાર કરતા દેખાયા હતા, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ પીઢ નેતા કમલનાથ અને સિંધિયા વચ્ચેના મતભેદ વધુ ને વધુ ઉગ્ર બનતા ગયા અને આખરે બાજી બગડી ગઈ.
પછીના જ વર્ષે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સાવ નબળા દેખાવ અને પરાજયથી સિંધિયાની હિંમત ભાંગી ગઈ અને રાજકીય ક્ષેત્રે તેઓ લગભગ નિષ્ક્રિય બની ગયા. મધ્યપ્રદેશના હાલના રાજકીય સંકટનાં ઘણાં પરિમાણ હોઈ શકે પણ એક વાત તો નક્કી જ છે કે વારંવાર અસંતોષ પ્રગટ કરી ચૂકેલા સિંધિયાને સમજવામાં અને તેમને સમજાવવામાં કોંગ્રેસની ટોચની નેતાગીરી પણ માર ખાઈ ગઈ.
મધ્યપ્રદેશ કોંગ્રેસના ઘણા નેતાઓનો સ્પષ્ટ મત છે કે ગ્વાલિયરના શાહી પરિવારના વંશજ જ્યોતિરાદિત્ય સિંધિયાને કમલનાથ મુખ્યપ્રધાન બન્યા એ દિવસથી જ આંખના કણાની જેમ ખૂંચી રહ્યા હતા. સિંધિયા ક્યાંક ને ક્યાંક એવું માનતા હતા કે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીત બાદ મુખ્યપ્રધાનના સિંહાસન પર સૌથી પહેલો હક તેમનો જ હતો, જે કમલનાથે ચાલાકીપૂર્વક છીનવી લીધો હતો. ત્યારબાદ સિંધિયાને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષપદથી પણ વંચિત રહેવું પડ્યું અને આ અન્યાય જ તેમને કોંગ્રેસથી જોજનો દૂર લઈ ગયો.
રાહુલ ગાંધી સાથેનો મજબૂત નાતો અને કોંગ્રેસ પ્રત્યેની વફાદારીના કારણે સિંધિયા ફક્ત અસંતોષ જાહેર કરીને સમસમીને બેસી જતા હતા. તેમના આ મૌનને ગંભીર ચેતવણી સમજવાના બદલે કમલનાથ એન્ડ કંપનીએ તેમને વધુ અવગણવાની શરૂઆત કરી દીધી અને અહીંથી જ મધ્યપ્રદેશ કોંગ્રેસ રીતસર બે ભાગમાં વહેંચાઈ ગઈ.
સિંધિયાની જેમ જ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ બાદ નારાજ થયેલા સચીન પાઇલટને રાજસ્થાનમાં નાયબ મુખ્યપ્રધાન બનાવીને આસાનીથી મનાવી લેવામાં આવ્યા પણ સિંધિયાને તેમની વફાદારીનો કોઈ શિરપાવ મળ્યો નહીં અને આ તકનો લાભ ભાજપે ઉઠાવી લીધો.
મધ્યપ્રદેશની રાજનીતિનું આ આખું પ્રકરણ કોંગ્રેસ અને તેની ટોચની નેતાગીરી માટે ખતરાની ઘંટડી સમાન છે. કોંગ્રેસે આ તમામ સમીકરણ અને મુદ્દા પર વિચારમંથન કરવું જ પડશે. આનું પરિણામ શું આવશે તે તો આવનાર સમય જ કહેશે, પરંતુ તેનાથી રાજકારણની બદલાતી તાસીર સ્પષ્ટ દેખાઈ રહી છે, જેમાં કદાચ કોઈ વિચારધારાનું મહત્ત્વ રહ્યું નથી અને આ સૌથી ખતરનાક વાત છે.