હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં માતા શ્રી જ્વાલાજીનું મંદિર સ્થિત છે. અહીંયા જ્યોતિ સ્વરૂપે માતા ભક્તોને દર્શન આપે છે. માન્યતા અનુસાર જ્વાલાજીમાં માતા સતીની જીભ પડી હતી જેથી અહીંનું નામ જ્વાલા મંદિર પડ્યું. મંદિરમાં થતાં ચમત્કાર સાંભળીને અકબર સેના સહિત અહીંયા આવ્યા હતા. અકબરે જ્યારે જ્યારે આ જ્યોતિને ઓલાવવા માટે એક નહેરનું નિર્માણ કર્યુ અને સેના પાસે પાણી નાખવાનું શરૂ કર્યુ તેમ છતાં નહેરના પાણીથી જ્યોતિ ઓલવાઇ નહીં.
આ બાદ અકબરે માતા પાસેથી માફી માગી અને પૂજા કરી સોનાનું સવા મણનું છત્ર ચડાવ્યું હતું. માતાએ તેના છત્રનો સ્વીકાર ન કર્યો. આ છત્ર સોનાના બદલે બીજી ધાતુમાં બદલાઈ ગયું. અકબરની ભેટ માતાએ અસ્વીકાર કરી દીધી. ઘણા દિવસો બાદ તે મંદિરમાં રહીને ક્ષમા માગતો રહ્યો. દુખી મને તે પાછો ગયો. કહેવાય છે કે આ ઘટના બાદ અકબરના મનમાં હિન્દુ દેવી-દેવતાઓ માટે શ્રદ્ધા જન્મી હતી.
અકબરે ચઢાવેલું છત્ર કયા ધાતુમાં બદલાઈ ગયુ તેની તપાસ માટે સાહિઠના દશકામાં તત્કાલીન પ્રધાનમંત્રી પં.જવાહર લાલ નહેરૂની પહેલ પર અહીંયાં વૈજ્ઞાનિકોની એક ટૂકડી પહોંચી. છત્રના એક હિસ્સાનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરાયું તો ચોંકાવનારું પરિણામ મળ્યું. વૈજ્ઞાનિક પરીક્ષણના આધારે તેને કોઈપણ ધાતુની શ્રેણીમાં માનવામાં ન આવ્યું. જે પણ શ્રદ્ધાળુઓ અહીં આવે છે નહેરને જોયા વિના દર્શન અધૂરા માને છે. આજેપણ છત્ર જ્વાલા મંદિર ભવનમાં રાખેલું છે. મંદિર સાથે નહેરના અવશેષ પણ જોવા મળે છે.
સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ રાજા ભૂમિ ચંદે કરાવ્યું હતુ. આ બાદ મહારાતા રણજીત સિંહ અને રાજા સંસાર ચંદે 1835માં મંદિરનું નિર્માણ પૂરુ કરાવ્યું હતુ. કહેવાય છે કે પાંડવોનો અજ્ઞાતવાસ સમય અહીંયા વિત્યો હતો. તેમણે પણ માતાની સેવા કરી હતી.
મંદિરના ગર્ભ ગૃહમાં સાત જ્યોતિઓ છે. સૌથી મોટી જ્યોતિ મહાકાલીનું રૂપ છે જેના જ્વાલામુખી પણ કહેવાય છે. બીજી જ્યોતિ માતા અન્નપૂર્ણા ત્રીજી જ્યોતિ માં ચંડી ચૌથી માતા હિંગળાજ પાંચમી વિંધ્યાવાસની છઠ્ઠી મહાલક્ષ્મી અને સાતમી માતા સરસ્વતીની છે.
મંદિરમાં પાંચ વખત આરતી થાય છે. એક મંદિરના કપાટ ખૂલતા જ સૂર્યોદય સાથે સવારે 5 વાગ્યે કરાય છે. બીજી મંગળા આરતી સવારની આરતી બાદ થાય છે. બપોરની આરતી 12 વાગ્યે થાય છે. આરતી સાથે-સાથે માતાને પ્રસાદ ધરાવાય છે. પછી સંધ્યા આરતી 7 વાગ્યે થાય છે. આ બાદ માતાજીના પોઢવાના સમયે શયન આરતી રાત્રે 9.30 વાગે કરાય છે. માતાની શય્યાને ફૂલો આભૂષણો અને સુંગધિત સામગ્રીઓથી સજાવાય છે.
જ્વાલા મંદિર પહોંચવા માટે નજીકનું એરપોર્ટ કાંગડા પાસે ગગલમાં છે. એરપોર્ટ મંદિરથી લગભગ 45 કિમીના અંતરે છે. રેલ માર્ગ દ્વારા પઠાણકોટથી રાનીતાલ (જ્વાલામુખી રોડ) પહોંચી શકાય છે. આગળ મંદિર સુધી પહોંચવા માટે બસ ટેક્સી મળી રહે છે. દિલ્હી શિમલા અને પંજાબના મુખ્ય સ્થાનોથી ડાઈરેક્ટ બસ જ્વાલા મંદિર સુધી લઈ જાય છે.