ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઓજલાએ કહ્યું કે, એકવાર PoK લેવાનો આદેશ આપવામાં આવે તો અમે પાછું વળીને જોઈશું નહીં
રાજનાથ સિંહના સંકેત બાદ ભારતીય સેનાની હુંકાર
બસ આદેશ મળે તેટલી વાર, PoK પાછું લેતા વાર નહીં લાગે: સેના
ભારતીય દળો હંમેશા તૈયાર: ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ
ભારતીય સેનાની હુંકાર કરી છે કે, બસ આદેશ મળે તેટલી વાર, PoK પાછું લેતા વાર નહીં લાગે. વાત જાણે એમ છે કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) હાંસલ કરવાનો સંકેત આપ્યો હતો. રાજનાથ સિંહના આ નિવેદન પર સેનાની પ્રતિક્રિયા પણ આવી છે. ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઓજલાએ કહ્યું કે, ભારતીય દળો હંમેશા તૈયાર છે. એકવાર PoK લેવાનો આદેશ આપવામાં આવે તો અમે પાછું વળીને જોઈશું નહીં.
વાસ્તવમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ શૌર્ય દિવસ પર જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને પડકાર ફેંક્યો હતો. રાજનાથ સિંહે કહ્યું હતું કે, તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં તેને (પાકિસ્તાને) જે કર્યું છે તેની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાન તેના કબજા હેઠળના કાશ્મીરમાં લોકો પર 'અત્યાચાર' કરી રહ્યું છે અને તેનું પરિણામ તેણે ભોગવવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે, અમે કાશ્મીરના વિકાસનું કામ શરૂ કરી દીધું છે, પરંતુ અમે ત્યાં સુધી રોકાઈશું નહીં જ્યાં સુધી ગિલગિટ-બાલ્ટિસ્તાન સુધી પહોંચીશું નહીં.
આ નિવેદનના જવાબમાં ચિનાર કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એડીએસ ઓજલાએ કહ્યું કે, જ્યારે પણ આવો નિર્ણય લેવામાં આવે છે અથવા સેનાને આવો આદેશ આપવામાં આવે છે, ત્યારે ભારતીય સેના તેના પર કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. એડીએસ ઓજલાએ શ્રીનગર હેડક્વાર્ટર ખાતે જણાવ્યું હતું કે, "અમે અમારી પરંપરાગત ક્ષમતાઓમાં સુધારો કરી રહ્યા છીએ, તાલીમ આપવામાં આવી રહી છે અને અમે ક્ષમતાઓને વધારી રહ્યા છીએ. તેથી જ્યારે પણ તેની જરૂર પડે ત્યારે પાછળ વળીને જોઇશું નહીં.
આ સાથે LOC પર હાલની સ્થિતિ વિશે વાત કરતા એડીએસ ઓજલાએ કહ્યું કે, હાલની સ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ જ્યારે પણ તક મળે છે, ઘૂસણખોરીના પ્રયાસો થાય છે, પરંતુ ભારતીય સેના આપણી સરહદની સુરક્ષા માટે પૂરી તાકાત સાથે તૈયાર છે. LOCની રક્ષા માટે જવાબદાર કોર્પ્સ કમાન્ડરે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ સમજૂતીના 20 મહિનામાં ભારતીય સેનાની સંરક્ષણ તૈયારીઓને જોરદાર પ્રોત્સાહન મળ્યું છે. ઔજલાએ કહ્યું કે, જ્યારે પણ સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ થાય છે, સેના આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા અથવા જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે.
ચિનાર કોર્પ્સ કમાન્ડર ઔજલાએ કાશ્મીરમાં તાજેતરની ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને કાયરતા ગણાવી હતી. તેમણે કહ્યું કે, તે હંમેશા એક પડકાર રહ્યો છે. પરંતુ ભારતીય સેના ખીણમાં શાંતિ લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આતંકવાદીઓનો સવાલ છે, તેમનું સમગ્ર નેતૃત્વ ખતમ થઈ ગયું છે. હવે વસ્તુઓ ઘણી સારી દેખાઈ રહી છે.