ગુરુ ગ્રહને દેવગુરુ બૃહસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે પણ ગુરુ રાશિ પરિવર્તન થાય ત્યારે તેની સાથે દરેક રાશિના લોકોનું ભાગ્ય બદલાઇ જશે. 29 માર્ચે ગુરુ વૃશ્ચિક રાશિ છોડીને થોડા સમય માટે ધન રાશિમાં પ્રવેશ કરશે. ધન રાશિમાં ગુરુ 22 એપ્રિલ સુધી રહેશે. ત્યાર પછી તે ફરી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. વૃશ્ચિકથી ધન રાશિમાં ટૂંક સમય માટે પણ ગુરુનું આગમન બારેય રાશિના નસીબને પ્રભાવિત કરશે. જાણો તમારી રાશિ પર તેની કેવી અસર થશે...
મેષ:
ગુરુ રાશિનું પરિવર્તન તમારા નવમા ભાવમાં થશે. આ પરિવર્તન તમને ખૂબ જ ફળ આપનારુ પુરવાર થશે. ધાર્મિક કાર્ય અને અધ્યાત્મમાં તમારી રુચિ વધશે. તમારા માન-સન્માન અને કીર્તિમાં વધારો થશે. ઘરમાં મંગળ પ્રંસગ સપન્ન થશે. વૈભવમાં વૃદ્ધિ થશે અને અપરિણિત હશો તો લગ્નના યોગ ઊભા થશે. જમીન, વાહન વગેરે સુખની પણ પ્રાપ્તિ થઇ શકે છે. ગુરુવારે માથા પર કેસરનું તિલક લગાવશો તો વધુ ફાયદો થશે.
વૃષભ:
તમારા આઠમા ભાવમાં ગુરુનો પ્રવેશ થઈ રહ્યો છે. આ પરિવર્તન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉભી કરી શકે છે. કામના સ્થળે ઉચ્ચ અધિકારીઓને કારણે તમને તકલીફ થઈ શકે છે. જમીન-ઘરને લગતી કોઈ યોજના બનાવી હશે તો તેમાં અડચણોને કારણે ચિંતા વધી શકે છે. કામમાં વહેવારમાં વિશેષ સાવચેતી રાખવી. કષ્ટ દૂર કરવા ગુરુવારે કેળાના વૃક્ષ નીચે દીપદાન કરવુ, વડીલોના નિયમિત આશીર્વાદ લેવા.
મિથુન:
મિથુન રાશિના જાતકોના સાતમા ભાવમાં ગુરુનો પ્રવેશ થશે જેનું તમને અત્યંત શુભ ફળ મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. દાંપત્ય જીવનમાં ખુશીનો માહોલ જળવાઇ રહેશે.તમારે પ્રભાવશાળી લોકોને મળવાનું થશે, જેને કારણે તમને જબરદસ્ત લાભ થશે. વિવાહલાયક યુવક-યુવતીઓનો વિવાહ થઈ શકે છે. ધાર્મિક પુસ્તકો મંદિરમાં દાન કરવાથી મનની ઇચ્છા પૂરી થશે.
કર્ક:
તમારા છઠ્ઠા ભાવમાં ગુરુનો પ્રવેશ થશે. આ પરિવર્તનને કારણે તમને દુશ્મનોથી ડર વધશે, આવક કરતા વધુ ખર્ચ થશે અને વિપરિત પરિસ્થિતિ ઊભી થશે. શત્રુ તમારા પર હાવી થવાની કોશિશ કરશે. કોઇની સાથે વાદ-વિવાદમાં ન પડવુ તો મોટી મુસીબતમાં ફસાઇ જશો. પરિવારજનો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. કેળાના ઝાડને પાણી આપવુ જો કુંડળીમાં ગુરુ કારક હોય તો પોખરાજ પહેરવો.
સિંહ:
ગુરુ તમારી રાશિના પાંચમા ભાવમાં પ્રવેશ કરશે. આ પરિવર્તન તમારા માટે ભાગ્યોદય કારક પુરવાર થશે. તેનાથી તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે, બેરોજગારોનો નોકળી મળશે, ધનલાભમાં વૃદ્ઘિ થશે અને છેલ્લા સમયથી જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તે દૂર થશે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું પરિણામ અનુકૂળ મળશે. મિત્રોનો સહયોગ મળશે. ગુરુવારે ગાયને ગોળ-રોટલી ખવડાવી આશીર્વાદ મેળવશો તો વધારે શુભ ફળ મળશે.
કન્યા:
રાશિ પરિવર્તન સાથે તમારા ચોથા ભાવમાં બૃહસ્પતિ પ્રવેશ કરશે. તેને કારણે પરિવારમાં માનસિક અશાંતિ કે પરિવાજનો સાથે મતભેદનો માહોલ ઉભો થઇ શકે છે. વાહન ચલાવવામાં ખાસ ધ્યાન રાખવું, સમજી વિચારીને ઈન્વેસ્ટમેન્ટ કરવુ. માતા-પિતા સ્વાસ્થ્યને લઇને તકલીફ થઇ શકે છે. તકલીફ દૂર કરવા ગુરુવારે વૃક્ષ નીચે ધીનો દીવો કરવો.
તુલા:
ગુરુ તમારા ત્રીજા ભાવમાં આવશે. આ પરિવર્તનનું તમને મિશ્ર પરિણામ મળશે. પરાક્રમમાં વૃદ્ધિ થશે પણ સામે આકસ્મિક ખર્ચા પણ વધશે નજીકના ભાઈ-ભાંડુઓને શારીરિક પીડા થઈ શકે છે. ધન મેળવવામાં મુશ્કેલી થઇ શકે છે. ગુરુના શુભ પ્રભાવ વધારવા માટે વડીલો અને ગુરુજનોનો આશીર્વાદ મેળવવો જોઇએ.
વૃશ્ચિકઃ
ગુરુ તમારી રાશિના બીજા ભાવમાં પ્રવેશ કરશે. આ પરિવર્તનને કારણે જબરદસ્ત ધનલાભ થવાનો યોગ છે. તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ઘિ થશે. જો દેવામાં ડૂબેલા હશો તો તેમાંથી મુક્તિ મળશે. વેપારીઓને વેપારમાં ઘણો સારો લાભ થશે. સ્થાયી સંપત્તિમાં વધારો થઇ શકે છે. પુત્ર સુખ અને યશ પ્રાપ્ત થશે. વિષ્ણુ ભગવાનની પૂજા-ઉપાસનાથી કામ બેગણી પ્રગતિ થશે.
ધન:
તમારા પહેલા ભાવમાં ગુરુનું ગોચર શુભ સંકેત છે. આ પરિવર્તનને કારણે પહેલેથી ચલતી સમસ્યાઓનુ નિદાન થશે. અજ્ઞાત ભય, ટ્રાન્સફર, મૂંઝવણ અને સંઘર્ષ બાદ ધનલાભ અને કામમાં પ્રગિત થશે. વિષ્ણુ ભગવાનના અવતાર રામ અથવા તો કૃષ્ણની ઉપાસના કરો. વડીલો, ગુરુજનોની સેવા કરશો તો શુભ ફળ મળશે.
મકર:
ગુરુ તમારી રાશિના બારમા ભાવમાં પ્રવેશ કરશે. તેને કારણે ધાર્મિક યાત્રાનો યોગ બનશે. વિદેશ ફરવા જવાનું થાય. કલાકારોને વિદેશ ભૂમિમાંથી લાભ થશે. ટ્રાન્સફર, મનોરંજન કાર્યોમાં પૈસા વેડફાશે. માનસિક ભય અને અશાંતિથી છૂટકારો મેળવવા માટે ગુરુવારે વ્રત કરો, કેળાવા વૃક્ષ નીચે સાંજના સમયે દીવો પ્રગટાવો.
કુંભ:
આ રાશિના અગ્યારમાં ભાવમાં ગુરુનું પરિવર્તન થશે જે ભાગ્યોદયકાયક છે. તમને વૃદ્ધિની નવી નવી તકો મળશે. માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. પ્રમોશન, ધનલાભ, અવિવાહિતોના લગ્ન સંપન્ન થશે. વિષ્ણુ ભગવાનના નિત્ય દર્શન કરી આશીર્વાદ લો. પાંચ મુખી રુદ્રાશ ધારણ કરો તો બધી જ મનોકામના પૂરી થશે.
મીન:
ગુરુનું પરિવર્તન તમારી રાશિના દસમા ભાવમાં થશે. આ પરિવર્તન સામાન્ય ફળદાયી પુરવાર થશે. પિતા સાથે વૈચારિક મતભેદ ન થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું. નોકરીમાં સ્થળ પરિવર્તન થાય, ઉચ્ચ અધિકારીઓના વિરોધનો સામનો કરવો પડી શકે છે. ભગવાન શ્રી રામની પૂજા-ઉપાસના કરવી. સાથે જ ગુરુ સંબંધિત પીળી ચીજોનું દાન કરવું જોઇએ.