બોન્ડની શરતો સહિત અનેક માગણી સાથે જૂનિયર તબીબો હવે સરકાર સામે મેદાને ઉતર્યા, જૂનિયર ડૉક્ટરોના સમર્થનમાં IMA પણ આવ્યું
હડતાળ કરતા તબીબોને IMAનું સમર્થન
CMને પત્ર લખી પગલા ભરવા કરી માગ
જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા માગ
ગુજરાતભરમાં તબીબો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. બોન્ડની શરતો સહિત અનેક માગણી સાથે જૂનિયર તબીબો હવે સરકાર સામે મેદાને ઉતર્યા છે. તો બીજી તરફ સરકારમાં આરોગ્ય વિભાગનો હવાલો અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડૉક્ટરોની હડતાળ સામે નહીં ઝૂકવાના નિવેદન બાદ જૂનિયર ડૉ.નું આંદોલન વધુ તેજ બની ગયું છે. આ વચ્ચે જૂનિયર ડૉક્ટરોના સમર્થનમાં IMA પણ આવ્યું છે.
તબીબો સામે ખરાબ વર્તન કરનાર અધિકારો સામે IMAની પગલા લેવા માગ છે. CMને પત્ર લખી IMA દ્વારા માગણી કરાઈ કે, જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા જોઈએ. IMAએ કહ્યું, કોરોના મહામારીમાં રેસિડેન્ટ તબીબોએ તનતોડ મહેનત કરી છે. સેવા બદલ સરકારે કરેલ જાહેરાતનું હવે પાલન થતુ નથી. માગ સ્વીકારવાના બદલે અધિકારીઓ અભદ્ર વર્તન કરે છે. અભદ્ર વર્તન કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.
રાજ્યની સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો છેલ્લા એક સપ્તાહથી વિવિધ માંગણીઓ મુદ્દે હોસ્પિટલ કેમ્પસમાં આંદોલન ચલાવી રહ્યા છે. આ વચ્ચે OPD અને તાત્કાલિક સેવાઓના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવી રહ્યા છે. જેને લઈ દર્દીઓની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. તો આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચિંતામાં મૂકાયા છે. સાથે સિનીયર તબીબોની જવાબદારી પણ વધારી દેવાઈ છે.
પ્રમાણપત્રો કર્યા પરત
આજે રેસિડેન્ડ ડોક્ટરોની હડતાળનો છઠ્ઠો દિવસ છે. ત્યારે કોરોનાકાળમાં ઉત્તમ સેવા બદલ સરકારે આપેલા સન્માન પત્રો તબીબોએ પરત કરી દીધા છે. તબીબોના તિરસ્કારને લઇ સન્માન પત્રો પરત કર્યા છે. આત્મસન્માન માટે તબીબોએ સન્માન પત્ર પરત કર્યા છે. પોતાની માંગોને લઈને રેસિડેન્ટ ડોક્ટરો અડગ છે.
શું છે ડોકટરોની માગ?
કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી હતી. આ સમયે તંત્રે જાહેરાત કરી હતી કે આ તબીબો સરકારી હોસ્પિટલમાં નિમણૂક મેળવે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો સમય 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિનાની નોંધ થશે. આ કારણે બોન્ડ પણ ઝડપથી પૂરો થશે તેમજ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પણ મળી શકે. આ રીતે 11 માસના કરાર પર નિમણૂક અપાઇ હતી. 12 એપ્રિલે કરેલા આ પરિપત્ર બાદ 31 જુલાઈએ નવો પરિપત્ર આવ્યો જેમાં આ બધા તબીબોની બદલી કરી નાંખી છે અને બોન્ડનો સમય પણ 1:1 કરી નાંખ્યો છે. આ ઉપરાંત પગાર ધોરણમાં પણ ઘટાડો કરાયો છે.
રાજ્યભરમાં જુનિયર તબીબો હડતાળ પર છે. તેઓ પોતાની પાંચ માગોને લઈ હડતાળ પર ઉતર્યા છે. આ માગોની વાત કરીએ તો રેસિડન્ટ પાસ થયેલા તબીબોની જૂના જી.આર મુજબ ડ્યુટી ગણવી. જો સરકાર નવા જી.આર મુજબ ગણે તો વિદ્યાર્થી જે જગ્યાએ પાસ આઉટ થયા હોય ત્યાં જ ડ્યૂટી આપવી.7મા પગાર પંચ પ્રમાણે ડ્યૂટી ગણવામાં આવે. બોન્ડ પ્લસ ડ્યૂટી કમ્બાઈન્ડ ગણવમાં આવે. અને રાજકોટમાં તબીબોનું હેલ્થ કમિશનરે અપમાન કર્યુ છે તે માટે માફી માગે અથવા રાજીનામું આપે તેવી માગણીઓ સાથે તબીબો હડતાળ પર ઉતર્યા છે. હાલ તો તબીબો પોતાની માગોને લઈને મક્કમ છે ત્યારે આવનારા સમયમાં તબીબો અને સરકાર વચ્ચે વધુ ઘર્ષણ થાય તો નવાઈ નહીં