26 વર્ષનાં અઝહરુદ્દીન કેરળનો વિકેટકીપર છે જેણે આ વર્ષની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 194ની સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવ્યા હતા અને જેમાં તેની એવરેજ પણ 53 રનની હતી.
સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં ધમાકેદાર પર્ફોર્મન્સ કર્યું હતું
મોટા ભાઈએ ક્રિકેટ રમવા માટે પૂરી મદદ કરી
નાની ઉંમરમાં માતા-પિતાને ગુમાવી દીધા હતા
ડોમેસ્ટીક પર્ફોર્મન્સનાં દમ પર અમુક ખેલાડીઓએ ધ્યાન ખેંચ્યુ
આઈપીએલ 2021 સિઝન માટે ગુરુવારે ચેન્નાઈમાં હરાજી યોજાશે. જેમાં 292 ખેલાડીઓની ફાઇનલ લીસ્ટમાંથી વધુમાં વધુ 61 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. પણ હરાજી પહેલા ડોમેસ્ટિક પર્ફોર્મન્સનાં દમ પર અમુક ખેલાડીઓએ સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. જેમાંથી કેરળનાં વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ પણ સામેલ છે. અઝરુદ્દીનનાં મતે જો તે આઈપીએલમાં રમવાનું ડિઝર્વ કરે છે તો તેને કોઈ ટીમ તો ખરીદશે જ.
આઝહરુદ્દીને હાલમાંજ પૂરી થયેલ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં મુંબઈ સામેની મેચમાં 37 બોલમાં શતક ફટકારીને સનસની મચાવી દીધી હતી. 2015માં ડોમેસ્ટીક ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર આ વિકેટકીપર બેટ્સમેને અત્યારસુધી ટી-20 ક્રિકેટમાં 24 મેચમાં 142થી વધારે સ્ટ્રાઇક રેટ સાથે 451 રન બનાવ્યા છે. જેમાં એક શતક પણ સામેલ છે.
હાલમાં અઝહરુદ્દીને સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં પાંચ મેચમાં 194થી વધારેની સ્ટ્રાઇક રેટ સાથે 214 રન બનાવ્યા હતા. તે દરમિયાન અઝહરુદ્દીનની એવરેજ 53થી વધારે હતી. તેણે પાંચ મેચમાં 15 છક્કા પણ લગાવ્યા હતા. આ વખતની આઈપીએલ હરાજીમાં તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રાખવામાં આવી છે. બે વર્ષ પહેલા પણ તેનું નામ ફાઇનલ લીસ્ટમાં આવ્યું હતું. પણ કોઈ ટીમે તેને ખરીદ્યો નહોતો. આ વખતે ભારતમાં લીગ થવાની છે ત્યારે ઘણી ટીમો એવી છે કે જેમની પાસે સારા વિકેટકીપર બેટ્સમેન નથી તો આ વખતે અઝહરુદ્દીનને આશા હશે કે તેનાં પર કોઈ ટીમ બોલી લગાવે.
26 વર્ષનાં કેરળના આ ક્રિકેટરની અહીં સુધી પહોંચવાની કહાણી પણ ખૂબ રસપ્રદ છે. તે 8 ભાઈઓમાં સૌથી નાનો છે અને બધા ભાઈઓને ક્રિકેટ પ્રત્યે જબરજસ્ત જુનુન છે. આઠે ભાઈઓમાં અઝહરુદ્દીન એકમાત્ર એવો છે જે પ્રોફેશનલ ક્રિકેટ રમે છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ ઠીક ના હોવાને લીધે બાકીને સાત ભાઈઓ પ્રોફેશનલ ક્રિકેટર બનાવોનુ સપનું પૂરુ ના કરી શક્યા. તેઓ ફક્ત ક્લબ ક્રિકેટ જ રમી શક્યા.
અઝહરુદ્દીનની જર્ની ખૂબ મુશ્કેલીભરી રહી. જ્યારે તે જુનિયર લેવલ પર પોતાની ઓળખ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે તેની માતા અને પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. આ ખરાબ સમયમાં તેનાં મોટા ભાઈ ઉનૈસે અઝહરુદ્દીનના સપનાને મરવા ના દીધા. મોટા ભાઈએ અઝહરુદ્દીનને દીકરાની જેમ ઉછેર્યો અને ક્રિકેટ રમવામાં મદદ કરી. અઝહરુદ્દીનનો મોટો ભાઈ કમરુદ્દીન પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો મોટો ફેન હતો માટે તેનાં નાના ભાઈનું નામ તેમનાં નામ પરથી રાખવામાં આવ્યું.
ધોનીની જેમ સ્કૂલમાં ફૂટબોલ રમતો હતો
અઝહરુદ્દીન ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીની જેમ પહેલા ફૂટબોલ રમતો હતો અને ગોલકીપિંગ પણ કરતો હતો. જેનાં લીધે તેને સ્કૂલ અને પછી ક્લબ ટીમમાં વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી હતી અને ધીમે ધીમે તેણે ખુદને વિકેટકીપર બેટ્સમેન બનાવી લીધો. 26 વર્ષિય અઝહરુદ્દીન કેરળનાં વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને પોતાનો રોલ મોડલ માને છે. તેની નજરે સેમસન શાનદાર વિકેટકીપરની સાથે એક સારો બેટ્સમેન પણ છે. એક ખેલાડી તરીકે તેની મહેનત ખૂબ પ્રભાવિત છે. અઝહરુદ્દીન ક્યારેય સંજુ સેમસનને નજરઅંદાજ નથી કરતો. આ વર્ષે રાજસ્થાન રોયલ્સની ટીમમાં સંજુ સેમસન કેપ્ટન તરીકે જોવા મળી શકે છે.