ભારતનો બેરોજગારીનો દર મે મહિનામાં 23.48%થી ઘટીને 10.99% થયો છે. આ માહિતી Centre for Monitoring India Economy (CMIE) દ્વારા આપવામાં આવી છે.
નોંધનીય છે કે દેશમાં જૂન મહિનાથી અર્થતંત્રની પ્રવૃતિઓ અનલોક થવાથી દેશના ઘણા સેક્ટર ફરીથી ખુલવા લાગ્યા છે. સેલ્ફ એમ્પ્લોમેન્ટની તકો વધતા અને ખરીફ પાકની વાવણી થતા વરસાદની શરૂઆત સાથે દેશના અર્થતંત્રના આંકડા સુધરી રહ્યા છે.
નોકરી છૂટવાનો દર પણ ઘટ્યો
દેશમાં નોકરી છૂટવાનો દર 10.52% જૂનમાં રહ્યો છે જયારે મે મહિનામાં તે 22.48% હતો. દેશમાં શહેરોમાં બેરોજગારીનો દર 12.02% હતો જે એક મહિના અગાઉ 25.79% હતો. જો કે આ આંકડા હજુ પણ માર્ચ અને ફેબ્રુઆરી કરતા વધારે છે. દેશમાં નોકરી છૂટવાનો દર માર્ચમાં 8.75% હતો જે ફેબ્રુઆરીમાં 7.76% હતો. આ વધારો કોરોના મહામારીને કારણે દેશમાં લાગુ કરેલા લોકડાઉનને કારણે છે જ્યાં એપ્રિલ અને મે આ બે મહિનામાં દેશના અર્થતંત્રની કમર તૂટી ગઈ હતી.
ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદનનો વેગ હજી મોળો
નિષ્ણાતોના મતે અત્યારે ધંધા રોજગારને ફટકો પડવાને પગલે નવી નોકરીઓની તકો ખૂબ ઓછી થઇ રહી છે. જો કે આ આંકડા સુધારવાનું મુખ્ય કારણ કૃષિની પ્રવૃત્તિઓમાં વધારો અને મનરેગા જેવી યોજનાઓનું વ્યવસ્થિત અમલીકરણ ગણવામાં આવે છે. હજુ પણ ઇન્ડસ્ટ્રીઝ અને ઉત્પાદન આંશિક લોકડાઉનના પગલે સામાન્ય કરતા ધીમી ગતિમાં છે જેથી ગ્રામીણ રોજગારીની સ્થિતિમાં એટલો સુધારો થયો નથી.
MSMEsમાં ખર્ચ બચાવવા ઘણા કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે
જો કે કેટલાક જાણકારોમાં એવો મત પ્રવર્તે છે કે ગ્રામીણ ક્ષેત્રે કૃષિમાં બીજ રોપણ અને અન્ય ઇન્ફોર્મલ સેક્ટરમાં તકો હોવાથી ગામડા વધુ મજબૂત સ્થિતિમાં છે. ફોર્મલ સેક્ટરમાં નોકરીઓ ઉત્પાદનની માંગ ઉપર આધારિત છે જયારે માંગ સામાન્ય થતા ઘણો સમય લાગી શકે તેમ છે. આ માટે ફોર્મલ સેક્ટર ખાસ કરીને MSMEsમાં ખર્ચ બચાવવા મોટા પાયે કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે.