સમગ્ર વિશ્વમાં કોરોના સંકટ ચાલી રહ્યું છે. ગુજરાતની સ્થિતિ પણ દિવાળીના તહેવારો બાદ બગડી છે. ખાસ કરીને છેલ્લા 2 દિવસથી 1 હજારથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે તો અમદાવાદમાં કોરોના સંકટ ફરી ઘેરાઇ રહ્યું છે અને અમદાવાદમાં 2 દિવસ સુધીનું કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે હવે જૂનાગઢની વિશ્વ પ્રસિદ્ધ લીલી પરિક્રમાને લઇને સ્થાનિક તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન રદ
જૂનાગઢ કલેકટરે કરી જાહેરાત
કોરોના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, જૂનાગઢ કલેકટરે વિશ્વ પ્રસિદ્ધ લીલી પરિક્રમાને લઇને મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, ચાલુ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવામાં આવે. રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસે-દિવસે ઘેરું બની રહ્યું છે ત્યારે આગામી સમયમાં વધુ સ્થિતિ બગડે નહીં તે માટે આગોતરા પગલારૂપે લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આશરે 10 લાખથી વધુ લોકો જોડાય છે લીલી પરિક્રમામાં
પ્રકૃતિના ખોળે દરવર્ષે યોજાતી પરિક્રમામાં આશરે 10 લાખ શ્રદ્ધાળુ ઉમટી પડે છે. પરિક્રમા કરવા આવતાં યાત્રિકો માટે વિવિધ સંસ્થાઓ- મંદિરો અને વિવિધ સમાજના લોકો દ્વારા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતા હોય છે. 24 કલાક હરિહરની હાકલ કરવામાં આવતી હોય છે. થોડા થોડા અંતરે જ અન્નક્ષેત્રો ધમધમતા હોય છે.
અનોખું મહાત્મય છે લીલી પરિક્રમાનું
આપને જણાવી દઇએ કે, લીલી પરિક્રમાનું અનોખું મહાત્મય રહેલું ગિરનારને લઇને એવી લોકવાયકાઓ સાંભળવા મળે છે કે, ત્યાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે અને તેઓ દેવ ઉઠી એકાદશીની રાત્રીએ ગિરનારમાં જાગતા હોય છે. જેથી આ સમયે ગિરનારની પરિક્રમા કરવાનું વિશેષ મહત્વ છે. પરિક્રમા કરવાથી પાપનો નાશ થાય છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે 1420 નવા કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1420 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1040 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,77,515 પર પહોંચ્યો છે. આજે 7 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3837 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 13000 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.31 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 67,901 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 71,01,057 પર પહોંચ્યો છે.