જૂનાગઢ પાસે આવેલી વડાલ ચોકી નજીક બસ અને ટ્રક વચ્ચે મોટો અકસ્માત અકસ્માતમાં 7 લોકોનાં મોત અને 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં 17 ઈજાગ્રસ્તોને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કમનસીબી એ છે કે જ્યારે આ ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો તેની મુશ્કેલીમાં વધુ વધારો થયો.
પાંચ કલાકથી હોસ્પિટલમાં વીજળી ગૂલ હોવાથી સારવારમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જેના કારણે મોબાઈલના ટોર્ચની મદદથી સારવાર કરવામાં આવી હતી. ત્યારે વીજળી ગૂલ થતાં અન્ય દર્દીઓ પણ પરેશાન થયા હતા. પાંચ કલાક જેટલો સમય વીત્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી નહીં.
હોસ્પિટલ તંત્રે પણ ઘોર નિંદ્રામાં લીન હતું. તો ઈમરજન્સી સ્થિતિ હોવા છતા પણ વીજળીના અભાવે સારવારમાં તકલીફ વધી હતી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આટલી મોટી સિવિલ હોસ્પિટલ છે તો તેમાં વીજળીને લઈને કોઈ વૈકલ્પિક સુવિધા કેમ ઉભી ના કરાઈ. જો વીજળીકાપ હોય તો સિવિલ હોસ્પિટલને વીજળીકાપથી દૂર કેમ ના રાખવામાં આવી. જેથી પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ ઊભી થઈ હતી.