જંગલ-પર્વત-અને નદીનાળા વચ્ચે વસેલા જૂનાગઢમાં માત્ર આયોજનના અભાવે પાણીની તંગી વધુ ઘેરી બની રહી છે. જળાશયો ખાલી થવા લાગ્યા અને નર્મદાના પાણી ન આવતા આગામી દિવસોમાં જૂનાગઢ પાણી માટે વલખા મારશે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ચૂંટણી હતી ત્યાં સુધી મહાનગર પાલિકાના અધિકારીઓ કોઈ સમસ્યા નથી પાણી છે અને લોકોને મુશ્કેલી નહીં પડે એવું કહેતા હતા પણ ચૂંટણી પુરી થતા જ જૂનાગઢમાં જળ સમસ્યા વિકરાળ બની ગઈ છે.
જૂનાગઢને દરરોજ 30 એ,એલડી પાણીની જરૂરિયાત રહે છે તેની સામે આણંદપુર ડેમનું પાણી આજસુધી આવતું હતું, પરંતુ તેમાં પાણી ખલાસ થઇ જતા સમસ્યા ઉભી થઇ છે. મહાનગર પાલિકા પાસે અન્ય જળતસ્રોત છે, પણ તેમાં વ્યવસ્થાનો અને મોટાભાગે પાણીનો અભાવ એટલે છે આગોતરું આયોજન કરવામાં આવતું નથી એવી સ્થિતિમાં આવનારા 10 દિવસમાં જૂનાગઢ વધુ પાણીની તંગી અનુભવે તેવી સ્થિતિ છે.
જૂનાગઢના મોટાભાગના વિસ્તારોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે, એક તો આ વિસ્તારોમાં પાણી વિતરણ ટેન્કર દ્વારા જ કરવામાં આવે છે અને હવે ટેન્કરો ક્યાંથી ભરવા તે સવાલ મહાનગર પાલિકાના અધિકારીઓને સતાવી રહ્યો છે. બીજીબાજુ પાણી માટે વલખા મારતા નગરજનો મહાનગર પાલિકાની કચેરીમાં આવીને પોતાની વ્યથા ઠાલવે છે પણ તેની સમસ્યાનો ઉકેલ મળતો ન હોવાથી લોકોનો રોષ વધી રહ્યો છે.
જૂનાગઢના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવતું નથી નવા નળ જોડાણ આપવામાં આવ્યા પણ પાણી વિતરણ કરવામાં આવતું નથી જે પાણી આપવામાં આવે તો 4-4 દિવસે એકવાર પાણી મળે છે એવા સંજોગોમાં આવનારું સપ્તાહ મહાનગર પાલિકામાં બેડા યુદ્ધ કરાવે તેવી શક્યતા છે.