સૌરાષ્ટ્રની જુનાગઢ લોકસભા બેઠક રાજકીય રીતે મહત્વની બેઠક છે. આઝાદી સમયથી દેશની રાજનીતીમાં જુનાગઢનું આગવું સ્થાન રહ્યું છે. જુનાગઢ લોકસભા બેઠક ઉપર હાલના સાંસદ છે ભાજપના રાજેશ ચૂડાસમા. છેલ્લાં પાંચ વર્ષમાં સાંસદ તરીકે રાજેશ ચૂડાસમાએ કેવી કામગીરી કરી તે તપાસીએ સાંસદનું સરવૈયુંમાં.
1991થી જૂનાગઢ બેઠક ઉપર ભાજપનું પ્રભુત્વ
જુનાગઢનું દેશની રાજનીતીમાં અનેરૂ મહત્વ છે. જુનાગઢ એટલે મૂળ સોરઠ વિસ્તાર. લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો છેલ્લી સાત લોકસભા ચૂંટણીમાંથી છ ચૂંટણી ભાજપ જીત્યું છે. અગાઉ ભાવનાબેન ચીખલીયાએ જુનાગઢ બેઠકથી સતત ચાર વાર વિજય પ્રાપ્ત કર્યો હતો. 2014માં મોદી લહેરમાં ભાજપના રાજેશ ચૂડાસમાએ કોંગ્રેસના પુંજા વંશને કુલ એક લાખ 35 હજાર મતે હાર આપી હતી. 2014માં ચૂંટણી સમયે રાજેશ ચૂડાસમાએ પોતાની કુલ મિલકત રૂપિયા 74 લાખ જાહેર કરી હતી. 36 વર્ષી યુવા સાંસદ રાજેશ ચૂડાસમા 2014માં પહેલી વાર સાંસદ બન્યાં છે. સાંસદ તરીકે રાજેશ ચૂડાસમા પરિવહન, સંસ્કૃતિ અને પર્યટન વિભાગની સમિતિના સભ્ય પણ રહ્યાં.
સ્થાનિકો કોઇ સાંસદની કામગીરી અંગે ફરિયાદ કરે છો તો કોઇ સાંસદ રાજેશ ચૂડાસમાની કામગીરીને વખાણે છે. સાંસદ તરીકે રાજેશ ચૂડાસમાએ વિસ્તાર વિકાસના કાર્યોના અનેક દાવા કર્યા છે, પણ જૂનાગઢ સંસદીય મતક્ષેત્રથી જ 2014માં રાજેશ ચૂડાસમાની સામે ચૂંટણી લડનારા સિઝન કોંગ્રેસી નેતા પૂંજા વંશના મતે સાંસદ તરીકે રાજેશ ચૂડાસમા નિષ્ફળ નીવડ્યા છે.
રાજેશ ચૂડાસમાની સંસદમાં કુલ 73 ટકા હાજરી
સાંસદ તરીકે રાજેશ ચૂડાસમાની કાર્યવાહિ તપાસીએ તો રાજેશ ચૂડાસમાએ સંસદમાં દેશના સાંસદોની સરાસરી હાજરી કરતા ઓછી હાજરી આપી છે. રાજેશ ચૂડાસમાએ સંસદમાં કુલ 73 ટકા હાજરી આપી છે. સંસદની ડીબેટમાં પણ તેઓ નિરૂત્સાહિ રહ્યાં. એક તરફ દેશના સાંસદોએ સરેરાશ 67 ડીબેટમાં ભાગ લીધો છે, ત્યારે રાજેશ ચૂડાસમાએ ફક્ત સાત જ ડીબેટમાં હિસ્સો લીધો છે. સંસદમાં એક વાત રાજેશ ચૂડાસમાની ગૌરવ પ્રેરક છે. રાજેશ ચૂડાસમાએ સંસદમાં પાંચ વર્ષ દરમિયાન કુલ 546 પ્રશ્નો પુછ્યા છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ બમણાં છે.
રાજેશ ચૂડાસમા જનતાના કેવા પ્રશ્નો ઉઠાવ્યા
સંસદમાં પ્રશ્નો પુછવાની બાબતમાં રાજેશ ચૂડાસમા અવ્વલ છે. સંસદમાં જુનાગઢ સંસદીય મતક્ષેત્રને અસર કરતા અનેક પ્રશ્નો પુછીને તેના ઉકેલ લાવવામાં સફળતા મેળવી છે. જુનાગઢ સાંસદ તરીકે રાજેશ ચૂડાસમાએ સંસદમાં એશીયાટીક સિંહોની સ્થિતિ અને તેના સંરક્ષણ અંગે સંસદમાં સવાલો ઉઠાવ્યા છે. રાજેશ ચૂડાસમાએ પડોશી દેશોમાં કેદ સ્થાનિક માછિમારોની ચિંતા વ્યક્ત કરીને તેમને પરત લાવવા અંગેનો પ્રશ્ન સંસદમાં પુછ્યો છે. દરિયા કિનારે વિકાસને સ્પર્શતો ઇકો સેન્સીટીવ ઝોન અંગે પણ રાજેશ ચૂડાસમાએ સંસદમાં પ્રશ્ન કર્યો છે. જુનાગઢ જિલ્લામાં આવેલ દરિયા કિનારાના ધોવાણ અંગે પણ રાજેશ ચૂડાસમાએ સંસદમાં પ્રશ્ન પુછીને ચિંતા વ્યક્ત કરી છે. પોતાના મતક્ષેત્રના ખેડૂતોને સીધી રીતે અસર કરતો પાક વીમાના પ્રશ્નને પણ રાજેશ ચૂડાસમાએ સંસદમાં વાચા આપી છે. તો ગેરકાયદેસર માછીમારીની બોટ અંગે પણ સંસદમાં પ્રશ્નરાજેશ ચૂડાસમાએ ઉઠાવ્યો છે. રાજેશ ચૂડાસમાએ બોક્સાઇટ માઇનીંગ અંગે પણ પ્રશ્ન સંસદમાં પુછ્યા છે. જુનાગઢમાં અનેક હેરીટેજ સ્થાપત્યો છે, તેના સંરક્ષણ અને યુનેસ્કો દ્વારા પ્રકાશિત હેરિટેજ યાદી અંગે પણ સંસદમાં સવાલ ઉઠાવ્યાં છે. આ સાથે કેદ્ર સરકારની અનેક યોજનાઓ અને કાર્યક્રમ અંગે સંસદમાં પ્રશ્નો ઉઠાવ્યાં છે.
જુનાગઢ સાંસદ રાજેશ ચૂડાસમાએ પોતાના સંસદીય મતક્ષેત્ર ઉપરાંત રાજ્ય અને દેશને સીધા અસર કરતાં પ્રાણપ્રશ્નો પણ સંસદમાં પુછીને દેશનું ધ્યાન દોર્યું છે. સાંસદ રાજેશ ચૂડાસમાએ દેશમાં બહુચર્ચીત બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંગે પ્રશ્ન કર્યો છે. રાજેશ ચૂડાસમાએ દિલ્લી હાઉસીંગ સોસાયટીનો પ્રશ્ન પુછીને દિલ્લીના આંતરિક મુદ્દે ચિંતા કરી છે. એશીયાટીક સિંહોના વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતાં સાંસદ રાજેશ ચૂડાસમાએ વાઘોના સંરક્ષણ અને સ્પેશીલ ટાઇગર ફોર્સ અંગે પ્રશ્નોમાં ખાસ્સો રસ બતાવી બે પ્રશ્નો સંસદમાં પુછી આશ્ચર્ય સર્જ્યું છે. રાજેશ ચૂડાસમાએ વડાદરા-મુંબઇ એક્સપ્રેક્સ-વે અંગે પણ પ્રશ્ન પુછ્યો છે, જ્યારે જુનાગઢ સંસદીય મતક્ષેત્રમાં અનેક રસ્તાઓની ખસ્તા હાલત છે. માત્ર દેશ નહીં પણ નેપાલમાં પર્યટનની વૃદ્ધિ અંગેનો પણ પ્રશ્ન રાજેશ ચૂડાસમાએ સંસદમાં પુછ્યો છે. ચા એ જુનાગઢનો પાક નથી છતાં સંસદમાં ચાના બગીચાના કામદારો અંગેનો પ્રશ્ન પુછ્યો છે. દેશમાં વોટરવેના વિકાસ અંગે રાજેશ ચૂડાસમાએ પ્રશ્ન પુછ્યો છે. મોટાભાગના ગુજરાતી સાંસદની જેમ રાજેશ ચૂડાસમાએ પૂર્વ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઇના સ્મારક અંગે પણ સંસદમાં પ્રશ્ન પુછી રજુઆત કરી હતી.
ક્યા પ્રશ્ન વણઉકલ્યા
સંસદમાં જુનાગઢ સાંસદ રાજેશ ચૂડાસમા બોલકા સાબિત થયા છે. છતાં વિસ્તારના પ્રશ્નોના ઉકેલ બાબતે રાજેશ ચૂડાસમાને અપેક્ષીત સફળતા મળી નથી. જુનાગઢ સાંસદ માટે વણઉકલ્યા પ્રશ્નો મોટા પડકાર રહ્યો હતો. જુનાગઢ સંસદીય મતક્ષેત્ર ગીરસિંહોથી વિશ્વ વિખ્યાત છે પણ યોગ્ય પર્યયનની સુવિધા ઉભી થઇ શકી નથી. સાથે સિંહોની વસતિ વધી સામે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન સામે પડકારો ઉભા થયા છે. સિંહો સાથે માનવોની અથડામણ વધી છે. સામે વન્ય ખાતાએ ખુબ સક્રિયતા દાખવી નથી. સિંહોના નામે ખાનગી સફારી ચાલે છે, જે સિંહોના કુદરતી જીવન ઉપર નકારાત્મક અસર પાડે છે. ગીર અને ગીરની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન મોટો પ્રશ્ન રહ્યો છે, જે બાબતે સાંસદ બહુ બોલકા કે સક્રિયા રહ્યાં નથી. જુનાગઢ શહેરમાં રેલ્વે ફાટકો લાંબા સમયથી બંધ રહેતા સ્થાનિકો પરેશાન છે. વર્ષોથી ઓવરબ્રીજની માંગ હોવાં છતાં આ બાબતે સાંસદ રાજેશ ચૂડાસમાએ પણ સક્રિયતા દાખવી નથી.
આ સાથે જુનાગઢ અને દિવના માછિમારોને વર્ષોથી પાકિસ્તાન મરિનનો ત્રાસ રહ્યો છે, જે બાબતે અનેક વાર રજૂઆતો કરવાં છતાં કોઇ નક્કર પગલાં ભરાયા નથી. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ પીવાના પાણીની પુરતી વ્યવસ્થા નથી. ઉનાળામાં પાણીની અછત સહજ બની જાય છે. જુનાગઢ એ દરિયાકિનારાનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રમાં અન્ય સ્થળે જે રીતે ઉઘોગો આવ્યાં પણ જુનાગઢમાં ઉઘોગોની ગેર હાજરીથી પુરતો વિકાસ સધાયો નથી અને તેના કારણે સ્થાનિક સ્તરે રોજગારીના મોટા પ્રશ્નો છે. સ્થાનિક સ્તરે મોસમ પરિવર્તનથી કેસર કેરીના ઉત્પાદન ઉપર નકારાત્મક અસર પડે છે, સ્થાનિક સ્તરે કૃષિ યુનિવર્સિટી હોવાં છતા કેસર કેરીના બચાવ માટે કોઇ નોંધનીય પ્રયાસ થયા નથી. જુનાગઢ સંસદીય મતક્ષેત્રના ખેડૂતોને પાકવીમા સામે યોગ્ય વળતર મળતુ નથી તે બાબતે સાંસદ રાજેશ ચૂડાસમાએ પણ કોઇ વિશેષ પ્રયાસ કર્યા હોય તેવું જણાતું નથી. આ સાથે જુનાગઢ સંસદીય મતક્ષેત્રના ખેડૂતોને મગફળી સાથેના પાકોના ટેકાના ભાવ પ્રાપ્ત થતા નથી. આમ અનેક વણ ઉકલ્યાં પ્રશ્નોના ઉકેલ માટે સ્થાનિકોની સાંસદ રાજેશ ચૂડાસમાસામે અપેક્ષા હતી, પણ પુરી રીતે સંતોષાઇ નથી તે પણ એક કડવી વાસ્તવિકતા છે.
VTVએ કેટલાં ગુણ આપ્યાં
સ્થાનિકોનો જુનાગઢ સાંસદ રાજેશ ચૂડાસમા માટે મિશ્ર પ્રતિભાવ રહ્યો છે. ક્યાંક લોકોએ રાજેશ ચુડાસમાને વધાવ્યા છે તો ક્યાંક સ્થાનિકોનો રાજેશ ચુડાસમા વિકાસ કાર્યોમાં નિક્રીય રહ્યાં છે તેવો સુર રહ્યો છે. રાજેશ ચુડાસમાની સંસદીય કાર્યવાહિ અને સ્થાનિકોના પ્રતિભાવને આધારે વીટીવી આપે છે સાંસદ તરીકે 10 માર્કસ માંથી 6 માર્કસ. યુવા સાંસદ તરીકે રાજેશ ચૂડાસમા પાસેથી સ્થાનિક નાગરિકોની અપેક્ષા વધુ હોય. જુનાગઢ સંસદીય મતક્ષેત્રના અનેક પ્રશ્નો યુવા સાંસદ રાજેશ ચૂડાસમા ઉકેલે તેવી અપેક્ષા હતી પણ સાંસદ તરીકે રાજેશ ચૂડાસમાએ જેટલી સક્રિયતા સંસદમાં પ્રશ્ન પુછવા કરી છે એટલી તત્પરતા સ્થાનિક પ્રશ્નો ઉકેલવા દાખવી નથી.સ્થાનિક જ્ઞાતીના સમીકરણોને જોતા 2019માં ભાજપ શક્ય છે યુવા ચહેરા તરીકે રાજેશ ચૂડાસમાને રીપીટ કરે.